જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયામાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસની ગાડી જાણે પાટા પરથી ઉતરી ગઈ હોય એવું ચિત્ર ઉપસી આવ્યુ છે. ભાજપા શાસિત નગરપાલિકા હોય અને વિકાસ ન થાય એ વાત કેમ ગળે ઉતરે ? પણ ખંભાલીયાવાસીઓની કમનસીબી કહી શકાય કે લાંબા સમયથી ભાજપના સભ્યો અને સતાધીસો અંદરો અંદર લડતા રહ્યા હતા. આ લડાઈ ત્યા સુધી ચાલી જ્યાં સુધી પદાધિકારીઓની ટર્મ પૂરી ન થઇ, હવે વહીવટદાર શાસન અમલમાં છે પરંતુ નીતિ વિષયક નિર્ણયના અભાવ હેઠળ આગામી ત્રણ માસ સુધી વહીવટ ચાલશે.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે જીલ્લાના વડામથક તરીકે ખંભાલીયા અને દ્વારકા શહેરની પસંદગી બાબતે પણ ખેચતાણ થઇ હતી. પરંતુ ખંભાલીયા પર પસંદગી થઇ ત્યારબાદ જીલ્લા મથક તરીકેની કચેરીઓ અસ્તિત્વમાં આવી. જીલ્લા મથકના અસ્તિત્વ છતા પણ ઉડીને આંખે વળગે તેવો વિકાસ ક્યાય દેખાતો નથી. વાત મુખ્ય મથકની કરવામાં આવે તો અહી સ્થાનિક નગરપાલિકામાં ભાજપમાં ચાલતા આંતરકલેહને કારને છેલ્લી ટર્મમાં અનેક કામો અધૂરા રહી ગયા અને અમુક કામો ન થયા, પાંચ વર્ષની નગરપાલીકાની બોડીની મુદ્દત સમાપ્ત થઇ ગઈ છે હાલ વહીવટદાર સાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. સ્પષ્ટ બહુમતી છતાં શહેરમાં કામ ન થયા એ વાસ્તવિકતા છે, એ પછી રસ્તાના કામ હોય કે ભૂગર્ભ ગટરના કામ કે પછી હોય રખડતા ઢોરનો પ્રશ્ન, તમામ બાબતે શહેરીજનોને નિરાસા જ હાથ લાગી છે. શહેરનું ભાજપ સંગઠન પણ દિશા વિહીન જોવા મળ્યું, ઓર તો ઓર જ્યાં વિકાસ કાર્યને બહાલી આપવામાં આવે છે એવી સામાન્ય સભા પણ ભરવામાં સતાધારી જૂથની આળસ ઉડીને આંખે વળગી છે. ઠીક છે અહી પણ રાજકીય દાવપેચ હતો જ, પણ અંદરો અંદરની લડાઈમાં શહેર પાંચ-સાત વર્ષ પાછળ ધકેલાઈ ગયું, શિષ્ટાચારમાં માનતા અને અનોખી વિચારધારા ધરાવતા ભાજપમાં અહી ક્યાય સંગઠન જેવું જોવા જ ન મળ્યું, પાંચ વર્ષનો સમય વીતી ગયો, હવે નવી ઘોડી નવો દાવ, ત્યારે આ વખતે સંગઠન સક્રિય બને અને નેતાઓ-કાર્યકરો વચ્ચે જે મતભેદ છે તેના પર પૂર્ણ વિરામ મુકે તો જ વિકાસ થશે અને તો જ ફરીથી સતા હાસલ થશે.