જામનગર અપડેટ્સ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર મંદિર નજીક દર્શન કરવા આવેલા પરિવાર અને સ્થાનિક યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેડતી અને ગાળો બોલવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો, જેમાં અનેક લોકોને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ તા. ૭ મે ૨૦૨૬ના રોજ બપોરે અંદાજે ૨:૧૫ થી ૨:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન નાગેશ્વર મંદિરના પ્રથમ ગેટ સામે રસના ચીચોડા વેચાતી દુકાન પાસે ઘટના બની હતી. અમદાવાદ નિવાસી અક્ષેશભાઈ દિનેશભાઈ પંચાલ પોતાના મિત્ર પરિવાર સાથે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા હતા.
ફરિયાદ મુજબ, આ દરમિયાન એક્ટિવા પર આવેલા પ્રકાશભા માણેક અને સિદ્ધરાજભા સુમણિયા નામના યુવકોએ હોર્ન વગાડી મહિલાઓ સામે જોઈ છેડતી કરી હતી. આ મુદ્દે અક્ષેશભાઈ અને તેમના મિત્ર કેતુલભાઈએ વિરોધ નોંધાવતા આરોપીઓએ ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો હતો અને “આગળ આવ, તને બતાવું” કહી ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા.

થોડા સમય બાદ આરોપીઓ અન્ય ચાર શખ્સો સાથે પરત ફરી આવ્યા હતા. જેમાં રાજવીર માણેક, રાયાભા સુમણિયા સહિત અન્ય અજાણ્યા ઇસમો સામેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓએ એકસંપ થઈ શેરડીના સાઠા અને નાળિયેર કાપવાના કોયતા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.
હુમલામાં કેતુલભાઈ અને સુભાષભાઈને માથાના ભાગે જીવલેણ ઘા મારવામાં આવ્યા હતા. વચ્ચે પડી છોડાવવા ગયેલા સુરાગભાઈ, ભરતભાઈ, વિક્રમભાઈ, અલ્પાબેન અને ભાવનાબેન દિનેશભાઈ સહિતના લોકોને પણ ઢીકા-પાટુ અને શેરડીના સાઠા વડે માર મારી નાની-મોટી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

ઘટના અંગે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ ગંભીર કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓની અટકાયત માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ખરાડી ચલાવી રહ્યા છે.
ધાર્મિક સ્થળોએ શ્રદ્ધા અને શાંતિનો માહોલ જળવાઈ રહે તે દરેકની જવાબદારી છે. નાની બોલાચાલી હિંસામાં ફેરવાઈ જાય ત્યારે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સમાજમાં યુવાનો સંયમ અને કાયદાનું પાલન રાખે તે સમયની માંગ બની છે.





