જામનગર: એરફોર્સ ઓફિસરને તસ્કરોનો ઝટકો, એક કિલો ચાંદી, 4 તોલા સોનાના દાગીનાની ચોરી

0
560

જામનગર: શહેરના એરફોર્સ-1માં ક્વાટરમાં રહેતા ઓફિસરના સપ્તાહ સુધી બંધ રહેલ મકાનમાં ખાબકેલા તસ્કરો એક કિલો ચાંદીની બે ઈંટ અને સોના ચાંદીના દાગીના સહિતના આભૂષણો ચોરી કરી લઇ ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. એક સપ્તાહની રજા લઇ વતનમાં ફરવા ગયેલ ઓફિસરને પાછળથી તસ્કરોએ જબરો હાથ મારી આંચકો આપ્યો છે. સીટી સી ડીવીજન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉતરપ્રદેશના બલિયા જીલ્લાના બરવાન રતી પતી ગામે રહેતા અને હાલ જામનગર એરફોર્સમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા અભય પ્રતાપસિંગ ગત તા. ૨૪ /3/૨૦૨૪ના રોજ પોતાની પત્ની સોભાસિંગ સાથે એક સપ્તાહની રજા લઇ, પોતાના ઓલ્ડ પ્રોજેક્ટ લાઈનમાં આવેલ ક્વાટરના બારણાને તાળા મારી રવાના થયા હતા. રજા બાદ પરત ફરત તાળા તૂટેલ જોવા મળ્યા હતા. ઘર અંદર વેર વિખેર સામાન જોતા ચોરી થયાનો અંદાજ લગાવ્યો હતો. ત્યારબાદ ઓફિસર દ્વારા પોતાના ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. દરમિયાન સીટી સી ડીવીજન પોલીસને જાણ કરવામાં આવી હતી.

સપ્તાહ સુધી બંધ રહેલ મકાનમાંથી બેગમાં રાખેલ અડધા અડધા કિલો વજનની બે ચાંદીની ઈંટો અને સવા બે તોલા વજનનું સોનાનું મંગલસૂત્ર, દોઢ તોલા વજનની સોનાની પાંચ જોડી બુટી, સાત ગ્રામની સોનાની એક ચેઈન, ત્રણ જોડી ચાંદીના સાકળા સહીત એક કિલો ચાંદી અને ચાર તોલા ઉપરાંત સોનાના દાગીનાની ચોરી થઇ હોવાનો તાગ મળતા ઓફિસરે સીટી સી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here