જામનગર અપડેટ્સ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે વ્યાજના ધંધાનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. દ્વારકાના એક ઇલેક્ટ્રિક કારીગરે રૂ. 5 લાખની ઉધારી સામે વ્યાજ સહિત રૂ. 6.50 લાખ પરત ચૂકવી દીધા હોવા છતાં વધુ ચડત વ્યાજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, દ્વારકાના અંબુજાનગર વિસ્તારમાં સ્વામીનારાયણ ભક્તિધામ પાસે રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરતા **નીલભાઈ રામજીભાઈ થોભાણી (ઉં.વ. 40)**એ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, 15 નવેમ્બર, 2024ના રોજ તેમણે આરોપી સુનીલભાઈ રામલખનભાઈ નિશાદ, રહે. નરસંગ ટેકરી, દ્વારકા પાસેથી 15 ટકા વ્યાજે રૂ. 5 લાખ ઉધાર લીધા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, ત્યારબાદ ફરીયાદીએ સમયાંતરે રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે વ્યાજ સહિત કુલ આશરે રૂ. 6.50 લાખ આરોપીને પરત ચૂકવી દીધા હતા. તેમ છતાં આરોપી દ્વારા વધુ ચડત વ્યાજની ગણતરી કરીને ફરીયાદી પાસે વધુ રૂ. 7.50 લાખની માંગણી કરવામાં આવતી હતી.
ફરિયાદ મુજબ, જ્યારે ફરીયાદીએ વધુ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ તેમને ફોન કરીને તેમજ રૂબરૂ બોલાવી બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણી કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, વધુ વ્યાજની રકમ નહીં આપે તો ફરીયાદી તેમજ તેમના સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળી આખરે ફરીયાદીએ પોલીસનો આશરો લીધો હતો. આ ફરિયાદના આધારે દ્વારકા પાર્ટ-એ પોલીસ મથકે આરોપી સુનીલભાઈ રામલખનભાઈ નિશાદ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 308(5) તેમજ ગુજરાત નાણાં ધીરનાર કરનારા બાબત અધિનિયમની કલમ 40, 42(અ), 42(ડ) અને 44 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજાભાઈ લખમણભાઈ ચોપડાને સોંપી છે.

પ્રાથમિક તપાસમાં આ કેસ ગેરકાયદે વ્યાજખોરી અને બળજબરીથી ઉઘરાણી સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી દ્વારા અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આવી જ રીતે ગેરકાયદે વ્યાજ વસૂલવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.





