૩ દિ’માં સિંચાઈનું પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલન કરશે જામજોધપુરના ધારાસભ્ય

0
1

જામનગર/લાલપુર: જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ધારાસભ્ય હેમંત ખવાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે લાલપુર અને જામજોધપુર તાલુકાના ગામડાઓમાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવાની માંગ કરી છે અને જો આગામી ત્રણ દિવસમાં પાણી નહીં મળે તો ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Screenshot

રજૂઆતના મુખ્ય અંશો નીચે મુજબ છે:

 લાલપુર તાલુકા માટે લિંક-૧ નો પ્રશ્ન: ધારાસભ્યએ જણાવ્યું છે કે સૌની યોજનાની લિંક-૧ દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડાથી ચારણતુંગી સુધીના ગામોને સિંચાઈનું પાણી મળે છે. આ પાણી નર્મદામાંથી મચ્છુ-૨, ત્યાંથી આજી-૩ અને ત્યારબાદ ઊંડ-૧ ડેમ મારફતે પહોંચે છે.

 ૬૦૦ ક્યુસેક પાણીની માંગ: મચ્છુ-૨ ડેમનું લેવલ ૨.૭૫ મીટર જાળવી રાખવા અને પમ્પિંગ અવિરત ચાલુ રાખવા માટે મોરબી બ્રાન્ચ કેનાલમાંથી ૬૦૦ ક્યુસેક પાણીની આવક અનિવાર્ય છે. હાલમાં મચ્છુ-૨ માં નહિવત આવક હોવાથી પાણી લિંક-૧ ની લાઈનમાં પહોંચતા ઘણો સમય લાગે તેમ છે, જેનાથી ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. તેથી, તાત્કાલિક ધોરણે પાણીનો પ્રવાહ વધારીને ૬૦૦ ક્યુસેક કરવા માંગ કરાઈ છે.

 જામજોધપુર તાલુકા માટે લિંક-૩ નો પ્રશ્ન: જામજોધપુર તાલુકામાંથી પસાર થતી લિંક-૩ લાઈનમાં હાલમાં માત્ર એક (૧) પંપ દ્વારા જ પાણી આપવામાં આવી રહ્યું છે. ખેડૂતોને તાત્કાલિક સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે વધુ પંપ ચાલુ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

 આંદોલનની ચીમકી: ધારાસભ્ય હેમંત ખવાએ પત્રના અંતમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની આ ગંભીર પરિસ્થિતિને સમજીને આગામી ત્રણ દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો, નાછૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

ધારાસભ્યએ મુખ્યમંત્રીને આ મામલે અંગત રસ લઈ વહીવટી તંત્રને તાકીદે યોગ્ય આદેશ કરવા ખાસ ભલામણ સહ વિનંતી કરી છે. હવે જોવું એ રહે છે કે સરકાર આ મામલે કેટલી ઝડપથી પગલાં લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here