જામનગર: વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાત, સુસાઇડ નોટના આધારે ત્રણ શખ્સો સામે ફરિયાદ

0
1

જામનગર અપડેટ્સ: શહેરમાં વ્યાજખોરોના આતંકનો વધુ એક ભોગ એક આશાસ્પદ યુવાન બન્યો છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં નવી નિશાળ સામે રહેતા ૩૭ વર્ષીય આશિષભાઇ કિશોરભાઇ ચાન્દ્રાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાના જ ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવમાં મૃતકે લખેલી સુસાઇડ નોટ અને તેમના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ ચોપડે નોંધાયેલી સત્તાવાર માહિતી મુજબ, મૃતક આશિષભાઇએ પોતાની માતાના નામે આવેલ મકાન પર કેપરી ગ્લોબલ ફાઇનાન્સમાંથી રૂ. ૨૫,૯૪,૯૦૩/- ની લોન લીધી હતી. આ લોનના હપ્તા તેઓ જાતે ભરતા હતા, પરંતુ આર્થિક ભીંસ ઊભી થતાં અને સમયસર હપ્તા ન ભરાતા તેમણે ત્રણ શખ્સો પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. આ વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓ તેમને સતત હેરાન-પરેશાન અને માનસિક ત્રાસ આપતા હતા.
વ્યાજખોરોના આ ત્રાસથી કંટાળીને આશિષભાઇએ એક સુસાઇડ નોટ લખી હતી અને તારીખ ૧૪/૦૭/૨૦૨૬ ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી, જેમાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ મામલે મૃતકના મોટા ભાઇ અમરીશભાઇ ચાન્દ્રા (ઉ.વ.૪૦) એ જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેની સુનાવણી કરતા એ.એસ.આઇ એચ.એન.જાડેજા અને પી.એસ.આઇ. ડી.કે.ગોહિલ દ્વારા નીચેના ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે:
૧. નિલેશ રઘુભાઇ ગંઢા (રહે. પટેલ પાર્ક, જામનગર)
૨. શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા (રહે. મયુર ગ્રીન સોસાયટી, ૮૦ ફુટ રીંગ રોડ, જામનગર)
૩. મુનાભાઇ વલ્લભભાઇ વસિયર (રહે. શંકર ટેકરી, શાસ્ત્રીનગર, જામનગર)
પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ ૧૦૮ (આત્મહત્યા માટે દુષ્પ્રેરણ), ૫૪ તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૩૯, ૪૦ મુજબ ગુનો નોંધી લીધો છે. આ ગંભીર કેસની વધુ તપાસ સીટી સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઇ.) એન.બી.ડાભી ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here