જામનગર: થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ અને ‘રામાયણ’ના ‘શ્રીરામ’ ગગન મલિકે સ્વામિનારાયણ ગુરુકુળની લીધી મુલાકાત

0
1

જામનગર, ૧૧ જુલાઈ, ૨૦૨૬: જામનગરમાં આજે એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક આધ્યાત્મિક મિલન જોવા મળ્યું હતું. થાઇલેન્ડના બૌદ્ધ ધર્મના ૨૦મા અને હાલના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ પરમ પૂજ્ય સોમદેત ફ્રા અરિયવોંગ્સાગતાયાન (Somdet Phra Ariyavongsagatanana) પોતાના ખાસ પ્રતિનિધિમંડળ (ડેલીગેશન) સાથે જામનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની મુલાકાતે પધાર્યા હતા. આ વૈશ્વિક ધર્મગુરુની સાથે જાણીતી ટેલિવિઝન સીરિયલ ‘રામાયણ’ માં પ્રભુ શ્રીરામનો જીવંત અભિનય કરનાર પ્રખ્યાત અભિનેતા શ્રી ગગન મલિક અને તેમની ટીમ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહી હતી.

ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત અને આયુર્વેદિક કાર્યોની સરહાના
ગુરુકુળ સંકુલમાં આવી પહોંચેલા તમામ વૈશ્વિક અતિથિઓનું ગુરુકુળ પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ભવ્ય તેમજ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન પરમ પૂજ્ય ધર્મગુરુ અને સમગ્ર ટીમે ગુરુકુળ સંકુલમાં કાર્યરત આયુર્વેદ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં દર્દીઓને અપાતી પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ અને સારવાર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ ઉપરાંત ગુરુકુળમાં ચાલતા વિવિધ શૈક્ષણિક અને સંસ્કારલક્ષી અભ્યાસક્રમોની વિગતો જાણીને તેઓ અત્યંત પ્રભાવિત અને આનંદિત થયા હતા.
હર્બલ ગાર્ડનમાં પવિત્ર છોડનું રોપણ
આ ઐતિહાસિક મુલાકાતને કાયમી સ્મૃતિરૂપ બનાવવા માટે ગુરુકુળના હર્બલ ગાર્ડનમાં એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુના વરદહસ્તે અત્યંત પવિત્ર અને ઔષધિય મહત્વ ધરાવતા કપૂર, રુદ્રાક્ષ અને બિલિપત્રના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રકૃતિ અને સંસ્કૃતિના જતનનો એક સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

ભારત-થાઇલેન્ડના સાંસ્કૃતિક સંબંધો અને વૈશ્વિક એકતાનો સંદેશ
મુલાકાત દરમિયાન થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુએ ગુરુકુળની માનવસેવા, ઉચ્ચ શિક્ષણ અને આયુર્વેદના ક્ષેત્રે ચાલતી પ્રવૃત્તિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ મુલાકાત ભારત અને થાઇલેન્ડ વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત કરનારી સાબિત થશે.
ટ્રસ્ટીના નિવાસસ્થાને ભોજન અને આશીર્વાદનો કાર્યક્રમ

મુલાકાતના અંતે, થાઇલેન્ડના સર્વોચ્ચ ધર્મગુરુ પૂજ્ય સોમદેત ફ્રા અને અભિનેતા ગગન મલિક સહિતના તમામ મહાનુભાવોએ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પિયુષભાઈ પટેલના નિવાસસ્થાને પધરામણી કરી હતી. જ્યાં પિયુષભાઈ અને તેમના પરિવાર દ્વારા પૂજ્ય ધર્મગુરુના શાસ્ત્રોક્ત વિધિથી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા, ત્યારબાદ તમામ મહેમાનોને આદરપૂર્વક પરંપરાગત ભોજન કરાવવામાં આવ્યું હતું.
થાઇલેન્ડના સર્વોચ્ચ ધર્મગુરુ અને લોકપ્રિય અભિનેતાની આ પ્રેરણાદાયી મુલાકાતથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર તેમજ સમગ્ર જામનગર પંથકમાં હર્ષ, ઉલ્લાસ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here