લાલપુર: આરીખાણા ગામે ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી બેરહેમ મારપીટ

0
2

jamngar updates: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરીખાણા ગામે રેતી ચોરીની ફરિયાદનો ખાર રાખીને એક ખેડૂતનું કારમાં અપહરણ કરી, તેને ઝાડ સાથે બાંધી પાઇપ તેમજ એરગનના બટ વડે બેરહેમ માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે લાલપુર પોલીસ મથકમાં ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધાયો છે.

મળતી પોલીસ વિગતો મુજબ, લાલપુર તાલુકાના આરીખાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા ૪૫ વર્ષીય ખેડૂત હરેશભાઈ નારણભાઇ સોજીત્રા (પટેલ) ના ઘરની પાછળ આવેલી નદીમાંથી કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા હતા. આ બાબતે આશરે એકાદ અઠવાડિયા પહેલા ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડી રેતી ચોરી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી પોતાની માહિતીના આધારે થઇ હોવાનો ખાર રાખીને આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.
ગત તારીખ ૦૪/૦7/૨૦૨૬ના રોજ બપોરે આશરે અઢી વાગ્યે, આરીખાણા ગામે સાહેદ કિશનભાઇ વૈષ્ણવની વાડીએ આરોપીઓએ હરેશભાઈને બોલાવ્યા હતા. ત્યાં આરોપીઓએ એકસંપ થઇ, હરેશભાઈને મુખ્ય આરોપીની કાળા કલરની ફોર વ્હીલર કારમાં બળજબરીપૂર્વક બેસાડી તેમનું અપહરણ કર્યું હતું. આરોપીઓ તેમને બળદેવસિંહ નામના આરોપીની વાડીએ લઇ ગયા હતા, જ્યાં હરેશભાઈને એક ઝાડ સાથે દોરડાથી બાંધી દીધા હતા.ત્યારબાદ આરોપીઓએ પાઇપ અને એરગનના બટ વડે હરેશભાઈ પર તૂટી પડી, તેમના વાસાના ભાગે, થાપા પર, ડાબા પગના સાથળ પર અને ડાબા હાથના બાવળાના ભાગે આડેધડ ફટકા મારી ગંભીર મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતા આરોપીઓએ ભુંડી ગાળો આપી ધમકી આપી હતી કે, “જો તું અમારા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ કે હોસ્પિટલમાં સારવાર લેવા જઇશ, તો તને જાનથી પતાવી દઇશું.”


આ ચકચારી ઘટના અંગે હરેશભાઈ સોજીત્રાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મેમાણા ગામે રહેતા (૧) બળદેવસિંહ મેમાણા, (૨) સુખુભા, (૩) રૂતુભા અને (૪) બળદેવસિંહના દીકરા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ-૧૪૦(૩), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટની કલમ-૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ લાલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી. ગોહિલ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here