જામનગર: ખેતીવાડી વિસ્તારમાં યુવાનની ઘાતકી હત્યાથી ખડભડાટ

0
1

જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના ૨૦ વર્ષીય યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ ધારદાર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલામાં યુવાનને પેટ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

આ બનાવની જાણ થતાં આસપાસના લોકોએ ગંભીર રીતે ઘાયલ કરણ વાઘેલાને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ત્રણ શખ્સોએ આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હુમલાખોરોની ઓળખ, હુમલાનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. શહેર સી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ આસપાસના વિસ્તારના સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ બનાવને પગલે ખેતીવાડી વિસ્તાર સહિત શહેરભરમાં ભારે ચકચાર ફેલાઈ છે. હત્યાનું ચોક્કસ કારણ અને હુમલાખોરોની ઓળખ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here