જામનગર : સ્પેસમાં જામનગરની પોલીટેક્નિક કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના ત્રણ વિદ્યાર્થીઓએ આયન એન્જીન નામનો એક પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિકલ પ્રોપલ્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરતો હોવાનો વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે. ઉપરોક્ત પ્રોજેક્ટ પૂરો થઈ જાય અને તેને મોટા સ્તરે પૂર્ણ કરવામાં આવે તો એ પ્રોજેકટ દેશને સ્પેસ ટેકનોલોજી અને રોકેટ ટેકનોલોજીમાં ખૂબ ઉપયોગી થઈ શકવાનો દાવો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. શુ છે આ સમગ્ર પ્રોજેકટ ? કઈ રીતે આ પ્રયોગ સ્પેસ ટેકનોલોજીને ઉપયોગ થઈ શકે ? શું છે વિદ્યાર્થીઓનો દાવો ? આવો જાણીએ સમગ્ર અહેવાલમાં
સ્પેશ ટેકનોલોજીમાં સિદ્ધિ, શુ છે આ પ્રોજેકટ ??
વિજ્ઞાનની અવનવી સિદ્ધિઓથી દેશ હવે ચંદ્ર સુધી પહોંચ્યો છે. ત્યારે જામનગરના આ ત્રણ વિદ્યાર્થીઓએ સ્પેસમાં પહોંચ્યા બાદ રોકેટ કે સ્પેસ શટલમાં ઇંધણ પૂરું થાય તો તેને સોલાર ઉર્જાથી ચાલતા એક એન્જીનની મદદથી કઈ રીતે ત્યાં રોકી શકાય તે ટેકનોલોજીના સિદ્ધાંતોને સાબિત કરતો એક પ્રોજેકટ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ એક આયોનાઇઝેશન પ્રક્રિયા પર બનાવવામાં આવેલો છે. જેમાં અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તેને પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે અને તેને જુદી જુદી ગ્રીડ વડે પ્રવેગીત કરવામાં આવે છે અને તેમાંથી દબાણ મેળવી શકાય છે. જેનાથી સ્પેશ ક્રાફટ પણ ચાલાવી શકાય છે. અને વળી તેનો ઉપયોગ સ્પેશ શટલ અને સેટેલાઈટમાં પણ ઉપયોગ કરી શકાય છે.વિદ્યાર્થીઓ દ્વારા આ ટેકનોલોજીના સિદ્ધાંત સાબિત કરતું એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ ટેકનોલોજી શુ ઉપયોગમાં આવી શકે ?
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ આયન મોડેલ એ આયોનિઝેશનની પ્રક્રિયાના સિદ્ધાંતોને સાબિત કરે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ મોડેલ દ્વારા અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી તેને પોઝિટિવ ચાર્જ કરવામાં આવે છે અને તેને જુદી જુદી ગ્રીડ વડે પ્રવેગીત કરવામાં આવે છે અને તેમાંથી દબાણ મેળવી શકાય છે. રોકેટ અને સ્પેસ શટલમાં ક્રાયોજેનિક ઇંધણ વાપરવામા આવે છે પરંતુ તે અવકાશમાં પહોંચ્યા બાદ ઇંધણ ખતમ થાય તે પહેલાં પરત આવવું પડે છે. પરંતુ આ ઇલેક્ટ્રિક ઇન્જેનની મદદથી અવકાશમાં લેન્ડ કરતા ત્યાં રોકેટ અથવા સ્પેશ શટલને ત્યાં આ એન્જીનની મદદથી રોકી શકવાનો દાવો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીની મદદથી અવકાશમાં અન્ય સંશોધનો માટે ઇંધણ વગર સોલાર પેનલથી ચાલતા ઇલેક્ટ્રિક એન્જીનની મદદથી રોકાઈ શકાશે તેવો વિદ્યાર્થીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સ્પેસ ટેકનોલોજીમાં શુ શુ ફાયદાઓ ??
આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ તેના અનેક ફાયદાઓ બતાવવામાં આવ્યા છે…..માધ્યમ તરીકે આર્ગન,ઝેનોન જેવા નિષ્ક્રિય વાયુનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ ઇનપુટનો ડાયરેક્ટ દબાણમાં રૂપાંતર થઇ શકે છે કોઈ જ રોટેટીંગ પાર્ટ નથી. ઇલેક્ટ્રિકલ ઇનપુટ તરીકે સોલાર કે અન્ય કોઈપણ ઉર્જાનો વપરાશ કરી શકાય છે. આ રીતે તૈયાર થયેલ રોકેટ હાલમાં વપરાતા રોકેટની સરખામણીમાં ખૂબ સસ્તા બની શકે છે. વળી હાલ માં વપરાતા રોકેટ એક જ વખત વાપરી શકાય છે જ્યારે આ રોકેટ ખૂબ લાંબા સમય સુધી વાપરી શકાતા હોવાનો દાવો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં વપરાતા રોકેટમાં ઇંધણને કારણે ખૂબ પ્રદૂષણ થાય છે. આથી આ પ્રોજેક્ટનો મોટો ફાયદો એ છે કે આ પ્રોજક્ટમાં બનાવેલ ટેકનોલજીથી પ્રદૂષણ નિવારી શકાશે એમ વિદ્યાર્થી સંગમકુમારે દાવો કર્યો છે.
કેટલા સમયથી બનાવે છે આ પ્રોજેકટ ? કેટલા લોકો અને કેટલી મહેનત ? કઇ રીતે મળી પ્રેરણા??
આ વિદ્યાર્થીઓને આ પ્રોજેકટ કરવાની પ્રેરણા તેમના મિત્રવર્તુળની ચર્ચા દરમિયાન મળી હતી. ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. અંદાજીત એક વર્ષથી ઉપરાંતના સમયમાં આ મોડેલ તૈયાર કરવા માટે તેની થિયરીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ તમામ સિદ્ધાંતોને સાબિત કરતું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે એમ અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સંગમકુમારે કહ્યું છે.
કઇ રીતે આ પ્રોજેકટને ઉપયોગી બનાવી શકાય ?
આ પ્રોજેકટ પરની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. અને તેની પેટન્ટ કરવાની પ્રક્રિયા પણ તેઓ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. પરંતુ તેનું વિવિધ પેરામીટર પર ટેસ્ટિંગ કરવાનું બાકી હોવાથી તે માટે ઇસરો, SKYROOTS અને બીજી સંસ્થાઓને વધુ ચકાસણી માટે આ પ્રોજેકટ મોકલવામાં આવ્યો છે..આ પ્રોજેકટ માટે સરકારની એસએસઆઈપી યોજના અંતર્ગત ચાલીસ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે પુરે પુરી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જામનગરના આ વિદ્યાર્થીઓના આ નવા સાહસના કારણે વિજ્ઞાનને એક નવી સિદ્ધિ ભવિષ્યમાં મળી શકે છે. આ રીતે ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીની મદદથી જામનગરના આ તેજસ્વી તારલાઓએ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસિલ કરવાનો પ્રયત્ન કર્યો છે.