જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના કાલાવાડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારમાં મધરાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સનમ સોસાયટી ખફી હોલ પાસે ઉસ્માન ગની મંજિલમાં રહેતા વેપારી અલ્તાફભાઈ ગનીભાઈ સમા (ઉ.વ. 52) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર તા. 14 મે 2026ના રોજ રાત્રે અંદાજે 12:15 થી 1:30 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમ તેમના મકાનમાં ઘૂસ્યો હતો. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બાદમાં લાકડાના કબાટ ખોલી તેમાં રાખેલા કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરીમાં બે સોનાના ચેન પેન્ડલ સાથે, સોનાની કાનની બુટી, લેડીસ વીંટી સહિત અનેક સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. ઉપરાંત ઘરમાં રાખેલી આશરે રૂ. 43,100 ની રોકડ રકમ પણ તસ્કરો લઈ ગયા હતા. કુલ મળી અંદાજે રૂ. 3,99,100 ની માલમત્તા પર હાથ ફેરવાયો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305(એ), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ હિલચાલ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રાત્રિ સુરક્ષા અંગે ચિંતા વધી રહી છે. રહેવાસીઓએ પોલીસ પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવાની માંગ પણ ઉઠાવી છે.





