જામનગર રહેતા ઘોઘાના તત્કાલીન મામલતદાર- ડ્રાઇવર સામે લાંચનો ગુનો

0
75

જામનગર અપડેટ્સ :ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લાલ આંખ કરીને હાલ જામનગર રહેતા ઘોઘા કચેરીના તત્કાલીન મામલતદાર અને એક આઉટસોર્સ ડ્રાઇવર વિરૂદ્ધ લાંચની માંગણીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માટી ભરેલી ટ્રક ડિટેઇન નહીં કરવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓની વિગત:

૧. પ્રકાશભાઇ દેવરખી સુવા– તત્કાલીન મામલતદાર (હાલ નિવૃત્ત), મામલતદાર કચેરી, ઘોઘા, જી. ભાવનગર. (હાલ રહેઠાણ: જામનગર પ્રમુખ નિવાસ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, મૂળ વતન: ઉપલેટા, રાજકોટ).

૨. ચેતનભાઇ ઉર્ફે બબલુભાઇ હર્ષદભાઇ સોરઠીયા – આઉટસોર્સ ડ્રાઇવર, મામલતદાર કચેરી, ઘોઘા, જી. ભાવનગર.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદી/સાહેદની માટી ભરેલી ટ્રકને ડિટેઇન નહીં કરવાના બદલામાં તત્કાલીન મામલતદાર પ્રકાશભાઇ સુવાએ શરૂઆતમાં રૂ. ૧,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ પ્રથમ રૂ. ૭૫,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું અને આખરે રકઝકના અંતે લાંચની રકમ રૂ. ૫૫,૦૦૦નક્કી કરવામાં આવી હતી.

રૂ. ૪૦,૦૦૦ અગાઉથી જ સ્વીકારી લીધા હતા

લાંચના છટકા પૂર્વે જ બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી નક્કી થયેલી રકમમાંથી રૂ. ૪૦,૦૦૦ કટકે-કટકે સ્વીકારી લીધા હતા. બાકી રહેતા રૂ. ૧૫,૦૦૦ની અવારનવાર માંગણી કરવામાં આવતી હતી. બંને આરોપીઓએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, પરસ્પર મેળાપીપણું રચીને અંગત આર્થિક લાભ ખાતર લાંચની માંગણી કરી ગુનાહિત કૃત્ય આચર્યું હતું. આથી તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ-૭(a) તથા ૧૨ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here