જામનગર : વધુ એક વખત મંગળવાર અમંગળ સાબિત થયો છે. સુરતના કીમ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર શિયાળાની ગુલગુલાબી રાત્રે પોઢી રહેલા પરિવાર પર કાળમુખુ ડમ્પર ફરી વળતા એક સાથે તેર વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જયારે આઠ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં ત્રણ વ્યક્તિઓની હાલત અતિ ગંભીર ગણાવાઈ રહી છે.

સુરતના પરિવારને વડોદરા નજીક નડેલા અકસ્માતમાં સુરતના આહીર પરિવારના નિપજેલા મૃત્યુનો શોક હજુ યથાવત છે ત્યાં સુરતમાં જ એક પરિવાર પર ડમ્પર ફરી વળતા મોતનો તાંડવ સર્જાયો છે. ગત રાત્રે કીમ ચાર રસ્તા નજીક માંડવી રોડ પર પાલોદ ગામ નજીક ફૂટપાથ પર સુતેલા પરિવાર પરથી કાળમુખુ ડમ્પર ફરી વળ્યું હતું. જેમાં સ્થળ પરજ ૧૨ લોકોના મૃત્યુ નીપજ્ય હતા જયારે અન્ય નવને ગંભીર ઈજાઓ પહોચતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવમ આવ્યા હતા. જેમાના ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ ઘટનામાં ડમ્પર ચાલક અને ક્લીનરને પણ ઈજાઓ પહોચી છે. પોલીસે સારવાર અપાવી બંનેની અટકાયત કરી ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.