જામનગર અપડેટ્સ : જોડિયા તાલુકાના મેઘપર ગામે આવેલ સરકારી આયુર્વેદીક દવાખાનામાંથી કોવિડના દવાના જથ્થાને દવાખાનામાંથી કાઢીને કોઇ શખ્સે ગટરના ટાંકામાં ફેંકી દઇ રૂા.26 હજારના દવાના જથ્થાની નુકશાની પહોંચાડી હોવાની જોડિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવાઇ છે. દવાખાનાના પાછળના ભાગેથી પ્રવેશ કરી કોઇ શખ્સ દવાના જથ્થાને વેરવિખેર કરી એકાદ ડઝન જેટલી જુદી-જુદી દવાઓનો જથ્થો બારોબાર લઇ જઇ ગટરમાં ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે.
જોડિયા તાલુકા મથકથી 26 કિ.મી. દૂર આવેલા મેઘપર ગામે સરકારી આયુર્વેદીક દવાખાનામાં આ કિસ્સો સામે આવ્યો છે. જેની વિગત મુજબ ગત તા.29-5થી 31-5 દરમ્યાન બંધ રહેલ દવાખાનાની પાછળ આવેલા ટોયલેટની બારીમાંથી કોઇ શખ્સે પ્રવેશ કરી અંદર રાખવામાં આવેલ કોવિડ-19ની દવાનો જથ્થો વેરવિખેર કરી અને મોટાભાગનો જથ્થો દવાખાનામાંથી બહાર લઇ જઇ પાછળના ભાગે આવેલ ગટરના ટાંકામાં ફેકી દીધો હતો. આ બનાવ અંગે તા.31મી ના રોજ સવારે દવાખાને પહોંચેલા મેડીકલ ઓફિસર અમીશાબેન પટેલને જાણ થતા તેઓએ જિલ્લા આરોગ્ય તંત્ર તથા પોલીસને જાણ કરી હતી. મેડીકલ ઓફિસરે દવાખાનામાં રહેલ દવાઓનો સ્ટોક ચેક કરતા જુદી-જુદી આયુર્વેદીક દવાનો 31 કિ.ગ્રા.નો જથ્થો કોઇ શખ્સે બહાર લઇ જઇ ગટરમાં ફેંકી દઇ નુકશાની પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે જોડિયા પોલીસે અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 427, 454, 457 મુજબ ગુન્હો નોંધ્યો હતો. જેમાં રૂા.25,993ની કિંમતનો દવાનો જથ્થો ફેંકી દઇ અજાણ્યા શખ્સે નુકશાની પહોંચાડી હોવાનો આરોપ લગાવાયો છે.
આ આયુર્વેદિક કોવીડ દવાનો જથ્થો બરબાદ
1. અશ્વગંધા ટેબ્લેટ 500 ગ્રામ 3 નંગ (અંદાજે) કીં.રૂા.862.5
2. સંશમની વટી 100 ગ્રામ 32 નંગ કી.રૂા.2297.6
3. સંશમની વટી 11 કિ. ગ્રા 1 નંગ કી. રૂા.6402
4. સંશમની વટી 14 કિ. ગ્રા 1 નંગ કી.રૂા.8148
5. ગોક્ષુર ચુર્ણ 500 ગ્રામ 1 નંગ કી.રૂા.166
6. પુનર્નવા ચૂર્ણ 500 ગ્રામ 1 નંગ કી.રૂા.107.5
7. રસાયણ ટેબલેટ 500 ગ્રામ 9 નંગ(અંદાજે) કી.રૂા.1381
8. ત્રીફલા ચૂર્ણ 1 કિ.ગ્રા 4 નંગ કી. રૂા.1056
9. ગળો ચૂર્ણ 1 કી. ગ્રા 3 નંગ કી.રૂ. 1137
10. યષ્ટીમધુ ચૂર્ણ 1 કિ.ગ્રા. 3 નંગ કી.રૂા.1380
11. રસાયણ ચુર્ણ 1 કિ.ગ્રા 3 નંગ કી. રૂા.1149
12. શ્રી કટુ ચૂર્ણ 1 કિ. ગ્રા 3 નંગ કી. રૂા.1906.56