પ્રત્યાર્પણ : કુખ્યાત જયેશ પટેલ આ જ મહીને હશે જામનગર પોલીસના કબ્જામાં, સાત આરોપીઓનો જેલવાસ લંબાયો

0
1278

જામનગર અપડેટ્સ : જામનગરના કુખ્યાત જમીન માફિયા અને ખંડણીખોર જયેશ પટેલ અને તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહીને લઈને સરકાર અને પોલીસની વાહવાહી થઇ હતી. જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની ખાડે ગયેલ સ્થતિને નાથવા ખુદ સરકારે રસ લઇ કાર્યવાહી કરી હતી. જયેશ પટેલ આણી સામે નોંધાયેલ ફરિયાદ બાદ ૧૨ સખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. લાંબા સમયના જેલવાસ બાદ સાત આરોપીઓએ રેગ્યુલર જામીનની અરજી કરી હતી. આ અરજી પર ચાર દિવસ પૂર્વે દલીલો પૂર્ણ થયા બાદ આજે ચુકાદો આવ્યો છે. જેમાં આરોપીઓને રાહત ન મળી અને અદાલતે અરજી ફગાવી દીધી છે. બીજી તરફ આ મહિનાના અંત સુધીમાં જયેશ પટેલ પણ ભારત આવી જશે એમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

સરકારે જયેશ પટેલને નાથવા માટે પ્રથમ એસપી તરીકે દીપન ભદ્રન અને તેની સ્પેશ્યલ અધિકારીઓની ટીમને હવાલે જામનગર કરવામાં આવ્યું હતું. એસપી ભદ્રનની આગેવાની નીચે ઓપરેશન જયેશ પટેલ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જયેશ પટેલના ઓર્ગેનાઈઝ ક્રાઈમના નેટવર્કને નાથવા જામનગરમાં જયેશ પટેલનું નેટવર્ક સંભાળતા ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, બિલ્ડર નીલેશ ટોલિયા અને વકીલ વીએલ માનસતા સહિતનાઓ સામે ગુજ્સીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.  ત્યારબાદ આ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જો કે જયેશ પટેલ હાથ લાગ્યો ન હતો, પરંતુ છ માસ બાદ જયેશ પટેલે જે ભાડુતી માણસો પાસે વકીલની હત્યા કરાવી હતી તે ત્રણ સખ્સોને પશ્ચિમ બંગાળથી ઉઠાવી લીધા હતા. આ ત્રણેય સખ્સોને ઉઠાવી લીધાના દિવસે જ વધુ એક સારા સમાચાર લંડનથી આવ્યા હતા. લંડન પોલીસે પણ જયેશ પટેલને લંડનથી પકડી પાડી સ્થાનિક લેવલે કાર્યવાહી કરી હતી.

આરોપીઓને હાથ લાગી નિરાશા

ગુજ્સીટોક સબબ પકડાયેલ સખ્સો પૂછપરછ દરમિયાન ગેંગ પાસેથી પોલીસે ખંડણી પેટે ઉઘરાવેલ પાંચ કરોડની રકમ રીકવર કરી છે અને સમગ્ર રેકેટનો મુખ્ય સુત્રધાર જયેશ પટેલ હોવાનું પોલીસે ચાર્જસીટમાં સ્પષ્ટ કર્યું છે. પોલીસે રાજકોટની સ્પેસ્યલ કોર્ટમાં ૩ હજાર પેજનું ચાર્જસીટ રજુ કર્યું છે. આ ઉપરાંત જયેશ પટેલ કેટલા માલેતુજારોને શિકાર બનાવ્યા તેમજ ખંડણી ક્યાં રૂટ-ચેનલથી વસુલી નિયત સ્થળે પહોચતી કરવામાં આવતી આ તમામ બાબતોને ચાર્જસીટમાં વણી લેવામાં આવી છે. ચાર્જસીટ રજુ થયા બાદ ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, પૂર્વ પોલીસકર્મી વસરામ આહિર, બિલ્ડર નીલેશ ટોલિયા અને વકીલ વીએલ માનસતા, બિલ્ડર મુકેશ અભંગી, પ્રવીણ ચોવટિયા અને પ્રફુલ પોપટ સહિતનાઓએ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરી હતી. રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં હાલ આ અરજી પર દલીલો પૂર્ણ થઇ હતી. ચાર દિવસ બાદ આજે અદાલતે ચુકાદો આપી જામીન અરજી ફગાવી દીધી હતી. જેને લઈને આરોપીઓનો જેલવાસ વધ્યો છે.

મહિનાના અંતમાં જયેશ પટેલ જામનગર પોલીસના કબજામાં

જયેશ પટેલ આ મહિનાના અંત સુધીમાં જામનગર પોલીસના કબજામાં હશે. જયેશ પટેલ લંડનમાં પકડાયા બાદ જામનગર પોલીસે ગૃહ વિભાગમાં સતત રીપોર્ટીંગ કર્યું છે. ગૃહ વિભાગે કેંન્દ્ર સરકાર સાથે સતત મીટીંગો કરી બ્રિટન એમ્બેસીને જયેશ પટેલની ગંભીર ગુનાખોરીનો ચિતાર પૂરો પાડી પ્રત્યાર્પણ કરવાની સબળ માંગણી કરી હતી. લંડનમાં જયેશ પટેલ સામે સ્થાનિક કાનૂની કાર્યવાહી પૂર્ણ થઇ ગઈ હોવાથી આ મહીને જ ભારતને કબજો મળી જવાની સંભાવનાઓ છે એમ ઓપરેશન જયેશ પટેલમાં વિશેષ ભૂમિકા ભજવનાર પોલીસ અધિકારીએ મત વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here