ખંભાળિયા તાલુકાના બેહ ગામે નવરાત્રીના પ્રથમ સોમવારે 26 09 2022ના રોજ જુંગીવારા વાછરાભાઈના મંદિરે જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખંભાળીયા થી 30 કિલોમીટર દૂર દ્વારકા હાઇવે પર જતા ૯ કી.મી બેહ ગામે જુગીવારા વાછરાભાઈનું રમણીય મંદિર આવેલું છે.
અહીં આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત અંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજ ને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થયા અને અસુર ને ત્યાં હણીને ચારણની દીકરીની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બેહ ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વિર વછરાજ જુંગીવારાના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે.
ગામલોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામ નો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ નવાનગરના સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો, ગ્રામજનો દ્વારા વિર વછરાજ ભાઈની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કર લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામનો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે જામસાહેબને પૂછવામાં આવતા ખ્યાલ આવ્યો કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરા ભાઈએ ભરેલ છે.
જુંગીવારાના મંદિર ની સામે આશરે 21 એકર જેટલી જમીન આવેલી છે કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી. જે લોકો લઇ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયાના દાખલા છે. આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકોના મકાન ઉપર બીજો માળ કરવામાં આવેલ નથી.
અહીં જાતરમાં ચારણ ગઢવી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત ચારણી રાસ વિખ્યાત છે જે રાસની અહીં જાતરમાં ભાઈઓ બહેનો અનેરી જમાવટ કરતા જોવા મળશે. આ સાથે વાછરાભાઈના મંદિરમાં ખીરનું નૈવેદ્ય કરવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે. અહીં જુગીવારા ધામ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.