દ્વારકા નજીકના મીઠાપુર ગામે પ્લોટ નો દસ્તાવેજ થઈ ગયા બાદ વેચનાર પક્ષે અરજી કરતાં મારામારી થવા પામી છે. લોટ લેનાર ના ભાઈએ કરિયાણાના વેપારી ને ધાકધમકી આપી હુમલો કરી મૂંઢ ઇજા પહોંચ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2020/10/DWARKA-POLICE.jpg)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાડા ગામે છગનભાઈ ડાયાભાઈ કંસારા નામના શખ્સે કરિયાણાની દુકાન ધરાવતા પરેશભાઈ પરમાનંદ ભાઈ ભાયાણી નામના વેપારીની દુકાને જઇ ચડયા હતા. ‘તમે મારા ભાઈ મુન્નાભાઈને પ્લોટના દસ્તાવેજ બાબતે શું કહેલ છે’ તેમ કહી છગનભાઈએ પોતાના હાથમાં રહેલ લાકડાનો ધોકો દુકાનના કાઉન્ટરના ટેબલ પર પછાડી ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. જેને લઈને દુકાનદારે ગાળો બોલવાની ના કહેતા છગનભાઈએ હાથમા રહેલ લાકડાના ધોકા વડે હુમલો કરી, ડાબા પગના સાંથળના ભાગે એક ઘા મારી મૂંઢ ઇજા પહોંચાડી હતી. દરમ્યાન બાજુની દુકાનવાળાઓ આવી જતા છગનભાઈ ને ઝઘડો કરતા અટકાવ્યા હતા. છગનભાઈ જતા જતા કહેવા લાગ્યા હતા કે તારા પાર્ટનર હરેશભાઈ નારણભાઈ જટાણીયાએ પ્લોટ બાબતે વાંધા અરજી કરેલ છે તે અરજી તમે પાછી નહીં ખેંચશો તો હું તમને જાનથી મારી નાખીશ.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2021/11/maramari.jpg)
પરેશભાઈ અને હરીશભાઈ જટણીયાએ પોતાની ભાગીદારીનો વરવાડા ગામે મનજી વાળી વિસ્તારમાં આવેલ પ્લોટ અઠવાડિયા પહેલા છગનભાઈ ડાયાભાઈ કંસારાના ભાઈ મુન્નાભાઈને વેચાણથી આપેલ હતો. આ પ્લોટના દસ્તાવેજમાં જાણ બહાર ભૂલ રહી ગઈ હોવાથી પ્લોટ વેચાયા બાદ પાર્ટનર હરીશભાઈએ તલાટી દફતરે આ પ્લોટના વેચાણ અંગે વાંધા અરજી કરી હતી જે વાંધા અરજી બાબતે છગનભાઈના ભાઈ મુન્નાભાઈ બે દિવસથી દુકાને આવી વાંધા અરજી પાછી ખેંચી લેવા કહેતા હતા. જે અરજી પાછી ખેંચવાની ના પાડતા તેના ભાઈએ દુકાને આવી લાકડાના ધોકા વડે હુમલો કરી, ધાક ધમકી આપી હોવાનો ફરિયાદમાં આરોપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.