જામનગર : જામનગર-ખંભાલીયા ધોરી માર્ગ પરના ખંભાલીયા નજીક કજુરડા ગામના પાટિયા પાસે આજ વહેલી સવારે એક ટ્રક અને દુધ ભરેલ વાહન વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવાનોના મૃત્યુ નીપજયા છે.
જામનગર-ખંભાલીયા રોડ પર આજે સવારે ખંભાલીયા નજીક કજુરડા પાટિયા અને આરાધના ધામ વચ્ચેના માર્ગ પર જીજે ૦૩ બી ડબ્લ્યુ ૨૪૬૧ નંબરની દૂધ ભરેલ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં દૂધ ભરેલા બોલેરોનો મોરો ચગદાઈ જતા ચાલક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામના રહીશ એવા નીલકંઠભાઈ મહેશભાઇ મકવાણા નામના 22 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે બોલેરોમાં તેમની સાથે જઈ રહેલા રાજકોટના પરેશભાઈ નામના એક યુવાનને ગંભીર ઇજાઓ પહોચતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રાથમિક સારવાર આપી તેઓને વધુ સારવાર માટે જામનગર તબદીલ કરવામાં આવ્યા હતા. જ્યાં અર્ધ રસ્તે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાલીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.