જામનગર : જામનગરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી પટેલ સહિત સચિવોની ટિમે જામનગરની મુલાકાત લઈ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે મેરેથોન મિટિંગ કરી હતી. મિટિંગના અંતે મુખ્ય મંત્રીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જામનગરમાં કોરોનાની સારવારને લઈને ખૂટતી તમામ સુવિધાઓને પૂર્ણ કરવામાં આવશે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. બીજી તરફ કુંભના મેળામાં ગયેલ તમામ ભાવિકોનો કોરોના ટેસ્ટ કરાયા બાદ જ ઘરે રવાના કરાશે એમ જણાવી ફરજીયાત ક્વોરેનટાઇન કરવામાં આવશે એમ ઉમેર્યું હતું.
જામનગર કલેકટર કચેરી ખાતે આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને સચિવોની ટિમ જામનગરની મુલાકાતે આવી હતી… કલેકટર કચેરી ખાતે કેબીનેટ મંત્રી આરસી ફળદુ, મંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને કલેકટર, કમિશનર, ડીડીઓ સહિતનાઓ સાથે મેરેથોન મિટિંગ યોજી હાલની જામનગરની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. મિટિંગ પૂર્ણ થયા બાદ મુખ્ય પ્રધાન રૂપાણીએ પત્રકારોને સંબોધન કર્યું હતું. જેમાં જામનગર સહિત રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનો મુખ્ય મંત્રીએ એકરાર કર્યો હતો. ત્યારબાદ જામનગરમાં કોરોના સામેની લડાઈમાં ખૂટતી સુવિધાઓને તાત્કાલિક નિવારી લેવામાં આવશે એવી ધરપત આપી હતી. કુંભ મેળામાં ગુજરાત માંથી કુંભ મેળામાં ગયેલ તમામ લોકોના કોરોના ટેસ્ટ કર્યા બાદ પ્રવેશ મળશે. એમ કહી રાજ્યના દરેક કલેકટરને આદેશ કરી કુંભ મેળાથી પરત આવેલ ભાવિકોને ટેસ્ટ બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવાની સૂચના આપી હોવાનું ઉમેર્યું છે. બીજી બાજુ જામનગરને વધુ 370 બેડ સોમવાર સુધીમાં કાર્યરત કરવામાં આવશે એમ ધરપત આપી હતી. આ ઉપરાંત કોવિડના ગંભીર દર્દીઓને જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. જ્યારે અન્યને ઘરે જ ક્વોરેન્ટાઈ કરી સારવાર આપવાની જાહેરાત કરી હતી.આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પણ કોવિડ હોસ્પિટલમાં અલગ થી 200 બેડની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી.પત્રકાર પરિષદ બાદ મુખ્ય પ્રધાને ટિમ સાથે કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી હતી. બીજી તરફ પોતાની સંવેદનશીલ મુખ્ય મંત્રી તરીકેની છાપ ઉજાગર કરી મુખ્ય મંત્રી આજે કોવિડ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં દર્દીઓના સગા સબંધીઓ વચ્ચે જમીન પર બેસી પોતીકાપણાનો ભાવ દર્શાવી સરકાર તમારી સાથે છે એવો એહસાસ કરાવ્યો હતો.