જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના રાવલ ગામમાં વર્તુ ડેમના છોડાયેલ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા ૧૮ કલાકની વિકટ સ્થિતિ વચ્ચે ગ્રામજનોના સોશિયલ મીડિયા પરના આક્રોસ બાદ વહીવટી પ્રસાસન આખરે જાગ્યું છે. આજે સાંજે એનડીઆરએફની ટીમને હાવાલે કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આજે દિવસ દરમિયાન દોઢથી સાડા ત્રણ ઇંચ વરસાદ થયો છે. જીલ્લાના કંટ્રોલ રૂમના આકડા મુજબ રાત્રે દસ વાગ્યા સુધીમાં ખંભાલીયામાં બે ઇંચ સાથે મોસમનો કુલ ૧૮૧૮ મીમી, દ્વારકામાં બે ઇંચ સાથે મોષમનો કુલ ૯૯૮ મીમી વરસાદ, જયારે કલ્યાણપુરમાં સાડા ત્રણ ઇંચ સાથે ૧૬૨૪ મીમી કુલ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ ગઈ કાલથી ભાણવડ ખાતેના વર્તુ ડેમના દરવાજા ખોલી દેવાયા બાદ ડેમ સાઈટથી ચાલીસ કિમી દુર રાવલ ગામમાં તબાહી સર્જાઈ છે. છેલ્લા ૨૪ કલાકથી વધુ સમયથી રાવલ ગામમાં વર્તુ ડેમના છોડાયેલ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિકથી માંડી જીલ્લાના રાજકીય નેતાગીરી અહી સુધી ન દોરાતા યુવાનો રોષે ભરાયા છે અને તેઓનો આક્રોશ સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. યુવાનોને પાણી વચ્ચેથી ફેસબુક કે અન્ય માધ્યમોમાં પોતાની સમસ્યાનો ચિતાર રજુ કરતા રાજકારણ ન જાગ્યું પણ વહીવટી પ્રસાસન જાગ્યું હતું. આજે પાંચેક વાગ્યા આસપાસ એનડીઆરએફની એક ટીમ રાવલ ગામે પહોચી હતી. જ્યાં હનુમાનધાર વિસ્તારમાં એક મકાનમાં ફસાયેલ ત્રણ સગર્ભા મહિલાઓ અને ત્રણ બાળકો સહિતના એક જ પરિવારના તેર વ્યક્તિઓનું સ્થળાંતર શરુ કર્યું હતું. ત્રણ કલાક બાદ તમામને રાવલ ગામમાં સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ ટીમના મોહન લાલ ના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ કલાકથી રેસ્ક્યુ ચાલુ છે અને રાત્રે દસ વાગ્યે આ ઓપરેશન પૂર્ણ થયું છે.