જામનગર: જામનગર સંસદીય વિસ્તારની સાત પૈકી બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવવામાં સીધી ભૂમિકા ભજવી છે. જામનગર જીલ્લાની કાલાવડ અને દ્વારકા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ બહોળા પ્રમાણમાં મતો અંકે કરી લેતા હાર જીતના ગણિત બદલાઈ ગયા છે. કાલાવડ બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટીને જીતથી વંચિત રાખી છે તો દ્વારકામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો વિજય પ્યાલો હોઠ સીધી આવતા રોકી લીધો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની સયુંકત સંસદીય મતવિસ્તારની સાત બેઠકો પૈકી ભાજપાએ છ અને એક બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. તો બીજી તરફ એક પણ બેઠક નહી મળતા બંને જીલ્લા કોંગ્રેસ મુક્ત થયા છે. પરિણામોના આકડાઓ પર એક નજર કરીએ તો જામનગરની કાલાવડ અને દ્વારકા જીલ્લાની દ્વારકા બેઠક પર બંને પક્ષના ઉમેદવારોને સામસામે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કાલાવડમાં ભાજપાના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાનો ૧૬ હજાર ઉપરાંત મતોથી વિજય થયો છે. જયારે આ જ બેઠક પર આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર ડો જીગ્નેશ સોલંકીને ૪૩ હજારથી વધુ અને કોંગ્રેસના સીટીંગ એમએલએ પ્રવીણ મુસડીયાને ૨૪ હજારથી વધુ મત મળ્યા છે. આ આકડાઓ સૂચવે છે કે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે આપની જીત ઝુંટવી લીધી છે. જયારે દ્વારકા બેઠક પર દર વખતની જેમ આ વખતે પણ પાંચ હાજર મતોની હારજીત થઇ છે. આઠમી વખત ધારાસભ્ય બનેલ પબુભાની પાંચ હજાર ઉપરાંત મતથી જીત થઇ છે. અહી પબુભાને ૭૪૦૧૮ મત મળ્યા છે જયારે તેના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના મુળુભાઈ કન્ડોરીયાને ૬૮૬૯૧ મત મળ્યા છે. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણભાઈ નકુમને ૨૮૩૮૧ મત મળ્યા છે. અહી કોંગ્રેસની જીત આડે આમઆદમી પાર્ટી આવી જતા પબુભા વધુ એક વખત બાહુબલી સાબિત થયા છે.