જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં પુનીતનગરમાં રહેતા એક દંપતી પર ચાર સખ્સોએ હુમલો કરી મારમારી, એક આરોપીએ છરીના ચાર ઘા મારી યુવાનને ઈજાઓ પહોચાડી હોવાણી પોલીસ દફતરે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભોગગ્રસ્ત યુવાનની પુત્રીની મશ્કરી કરતા સમજાવવા ગયેલ પિતા જીવલેણ હુમલાનો ભોગ બની ગયા હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં ગઈ કાલે રાત્રે આઠેક વાગ્યે ગાંધીનગર,પુનીતનગર શેરી નં.૩,સાઇબાબાના મંદિર પાસે રતુભા જાડેજાના મકાન પાસે સંજયભાઈ રમેશભાઈ સોલંકી પર રોહીત મકવાણા તથા અજલા બાવાજી તથા કમલેશ બાવાજી તથા કમલેશ તથા અજલાના પીતાજી બાવાજીએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આરોપી અજલાએ છરી વડે હુમલો કરી ચાર ઘા શરીરના ભાગે મારી સંજયભાઈને ગંભીર ઈજાઓ પહોચાડી હતી. આ ઘટના સમયે વચ્ચે પડેલ યુવાનના પત્ની સોનલબેનને પણ આરોપીઓએ ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી હતી. આ બનાવ બાદ ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સીટી બી ડીવીજન પોલીસ સામે ભોગગ્રસ્તના પત્ની સોનલબેને આઈપીસી કલમ ૩૨૬,૩૨૪,૩૨૩,૧૧૪,જી.પી.એકટ ૧૩૫(૧)મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેમાં આરોપી અજલાએ પોતાની પુત્રીની મશ્કરી કરતા ભોગગ્રસ્ત પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે.આ ફરિયાદના આધારે પીએસ આઈ યુ.કે.જાદવ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.