જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના મૂળવાસર ગામના જમીન માલિકના અવસાન બાદ તેની એક માત્ર વારસ પુત્રીએ જમીન પોતાના નામે કરવાની કરેલ કાર્યવાહી દરમિયાન વકીલે જ ખોટા કાગળો પર સહીઓ કરાવી લઈ જમીન પોતાના સબંધીઓના નામે કરી લીધી હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ આ જ વકીલ સામે આવી ફરિયાદ નોંધાઈ ચુકી છે. સુત્રોનું માનવામાં આવે તો આરોપી વકીલે આવી જ રીતે દ્વારકા તાલુકાના અનેક ગામોમાં આવી રીતે છેતરપીંડી આચરી અનેક ખેડૂતો અને વારસદારોની જમીન પોતાના નામે કરી લીધી છે.
દેવભૂમિ દ્વારકાના વકીલ સંજીવ નટવરલાલ ચાંદલિયા અને તેના સબંધીઓ સામે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ મૂળવાસર ગામના અને હાલ હમુસર ગામે સાસરે રહેતી જીજીભાઈ રાણાભાઈ હાથીયાએ વકીલ સંજીવ ઉપરાંત સોનલ અશ્વિનભાઈ ચાંદલિયા અને પુષ્પાબેન નટવરલાલ ચાંદલિયા સામે આરોપ લાગાવ્યો છે જેમાં તેણીના પિતા ગુજરી ગયા બાદ તેઓની વારસાઈ જમીન પોતાના નામે કરવા માટે તેણીએ વકીલનો સંપર્ક કર્યો હતો. વકીલે જમીન ટાઈટલ ક્લીયર કરવા માટે રૂપિયા ૧૯ હજાર લઇ કાગળ પર સહીઓ કરાવી લીધી હતી. દરમિયાન જમીન આરોપીઓના નામે કરી લેવામાં આવી હતી વકીલે જે કાગળ પર તેણીની સહીઓ કરાવી હતી તે ખોટા કાગળો હોવાનું સામે આવ્યું હતું વકીલે છલકપટથી જમીન અન્યનાં નામે કરી લઇ કૌભાંડ આચર્યું હતું. જેને લઈને દ્વારકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છેકે દ્વારકા તાલુકાના અનેક ગામડાઓમાં વકીલે આવી જ રીતે અનેકની જમીન ચાઉં કરી નાખી છે ત્યારે આ સખ્સ સામે આગામી દિવસોમાં વધુ ફરિયાદ થાય તેવી પણ સંભાવના કરવામાં આવી રહી છે.