જામનગર : જામજોધપુર તાલુકાના ચુર ગામના બે સરપંચ અને સરકારી વિભાગોના કર્મચારીઓએ મળીને ચાર વર્ષ પૂર્વે આચરેલ આર્થિક કૌભાંડ સંદર્ભે એસીબીએ તાત્કાલિક તલાટી કમ મંત્રીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આ સખ્સે જામીન પર છૂટવા અરજી કરી હતી. કોર્ટે આજે આ જામીન અરજી ફગાવી દીધી છે.
જામજોધપુર તાલુકાના ચુર ગામે વર્ષ ૨૦૧૬-૧૭માં તત્કાલીન સરપંચ મુરીબેન નથુભાઈ રાઠોડ અને નીતેશસિંહ જાડેજા સામે ટીડીઓએ જામનગર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં બંને સરપંચ દ્વારા સરકારીની જુદી જુદી યોજનાઓ હેઠળ રબારીવાસમાં પાણીની ટાંકી અને ગામતળમાં પાઈપ લાઈનનું કામ કરેલ ન હોવા છતાં રૂપિયા ૧,૮૯,૪૦૦ની રકમનું સબંધિતોને ચૂકવણું કર્યું હતું. આ ચૂકવણા પૂર્વે જવાબદાર સરકારી કર્મચારી-અધિકારીએ ખાતરી કર્યા વગર, સતલ પર કામ થયાની ખરાઈ કર્યા વિના, ખોટા માપ લખી માપપોથીમાં દર્સાવી, કામ પૂર્ણ ન થયું હોવા છતાં પૂર્ણ થયાનું સર્ટીફીકેટ આપી દીધું હતું. ફરિયાદને લઈને એસીબીની ટીમે બંને સરપંચની ધરપકડ કરી રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી હતી. જેમાં જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના તાત્કાલિક અધિક મદદનીશ ઈજનેર દર્શન હસમુખભાઈ પરમારની સંડોવણી સામે આવી હતી જેને લઈને એસીબીની ટીમે જામનગર રહેતા આ અધિકારીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો. જેમાં તત્કાલીન તલાટીની ભૂમિકા સામે આવી હતી. જેથી એસીબીની ટીમે તત્કાલીન તલાટી અને હાલ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રવજી મનસુખ ધારેવાડીયાની ધરપકડ કરી હતી. આ સરકારી બાબુની વિધિવત પૂછપરછ કરતા એસીબીએ કોવીડ ટેસ્ટ કરાવી કોર્ટમાં રજુ કર્યો હતો જેમાં કોર્ટે આરોપીને રિમાન્ડ પર લેવાનો હુકમ કરતા એસીબીએ આરોપી આચાર્યને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરી જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આરોપી તરફથી જામીન પર છૂટવા માટે તા. પાચમીના રોજ અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને એસીબી પીઆઈ એડી પરમારએ આરોપીને જામીન મુક્ત ન કરવા માટે બીજા એડીશનલ સેસન્સ જજ ટી આર દેસાઈની કોર્ટમાં સોગંધનામું કર્યું હતું. જેને લઈને સરકારી વકીલ જમન ભંડેરીની ધારદાર દલીલોને ધ્યાને રાખી કોર્ટે આજે આ અરજી ગ્રાહ્ય રાખી ન હતી અને રેગ્યુલર જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.