જામનગર : વકીલ કિરીટ જોશીની હત્યા બાદ ત્રણેય આરોપીઓએ દેશના ૧૧ રાજ્યોની સાથે ચાર દેશમાં પણ આશ્રય લીધો હતો જેમાં છેલો દેશ હતો સેનેગલ, અહી કોરોનાનું લોકડાઉન જાહેર થતા જ ત્રણેય આરોપીઓ ફસાઈ ગયા હતા. જો કે નીયંત્રણ હળવા થતા જ ભારત આવી ગયા હતા. બીજી તરફ જયેશ પટેલ આ ત્રણેય આરોપીઓને મહીને લાખો રૂપિયા પુરા પાડતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
વર્ષ ૨૦૧૮માં વકીલ કિરીટ જોશીની હત્યાને અંજામ આપી ત્રણેય આરોપીઓ ભારતના ૧૧ રાજ્યો અને ચાર દેશોમાં આશ્રય પામ્યા હતા. જોકે આ સમયગાળા દરમિયાન તેઓ જયેશ પટેલને ક્યારેય પ્રત્યક્ષ મળ્યા નથી એમ પણ સામે આવ્યું છે. ત્રણ દેશોમાં મોટા ભાગનો સમય પસાર કરી આરોપીઓ છેલ્લે સેનેગલ પહોચ્યા હતા. જ્યાં કોરાના કારણે લોકડાઉન થતા લોકડાઉનનો સંપુર્ણ સમય સેનેગલ માં રોકાવું પડ્યું હતું. કોરોના હળવો પડતા જ ત્રણેય થોડા દિવસો પહેલા ભારત આવી કલકતાના ચોક્કસ વિસ્તારમાં આશ્રય લીધો હતો. જેની જાન જામનગર પોલીસને થઇ હતી. અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. જયેશ પટેલ ત્રણેય આરોપીઓને દર મહીને ત્રણથી પાંચ લાખની રકમ મોકલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે આ રકમ કેવી રીતે આરોપીઓ સુધી પહોચતી અને અન્ય કોણ કોણ સંડોવાયું છે તેનો તાગ આરોપીઓના રિમાન્ડ દરમિયાન સામે આવશે.