જામનગર: સરકારી જમીનમાં ૧૫ ઓરડીઓ અને મકાન બનાવી પરિવારે તલાટી પર હુમલો કર્યો

0
758

જામનગર તાલુકાના મોટીખાવડી ગામે એક પરિવારે સરકારી ખરાબામાં કરેલા બાંધકામ સબબ પંચનામું કરવા ગયેલ તલાટી મંત્રીને દંપતી સહિતના પરિવારે ધાક ધમકી આપી હુમલો કરી ફરજમાં રુકાવટ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પરિવારે ૬૭૦ ચો.મી વિસ્તારના સરકારી ખરાબામાં દબાબ કરી ૧૫ ઓરડી અને એક મકાન બનાવી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. ઓરડીઓ બનાવી પરિવાર અત્રેની કંપનીઓમાં મજુરી કામ કરતા પરપ્રાંતીય મજુરોને ભાડે આપતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

જામનગર નજીક ખંભાલીયા ધોરી માર્ગ પર આવેલ મોટી ખાવડી ગામે ગઈ કાલે અત્રેના મહેસુલી તલાટી વીરેન્દ્રસિંહ વાઘેલા પોતાને સોંપેલી ફરજ પૂર્ણ કરવા માટે ગયા હતા. ગામના સર્વે નમ્બર ૧૦માં અહી રહેતા સીતારામગીરી શિવાજીગીરી ગોસ્વામી અને તેના પરિવારજનોએ ૬૭૦ ચોમી જગ્યામાં દબાણ કર્યું હતું. ગ્રામ્ય મામલતદાર તરફથી મળેલ સુચનાંને પગળે તલાટીએ અહી રોજકામ શરુ કર્યું હતું. અહી બાવાજી પરિવાર દ્વારા એક પાકું મકાન અને ૧૫ ઓરડીઓ બનાવી સરકારી ખરાબાની જમીનમાં પેસકદમી કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી તલાટીએ જેવું રોજકામ શરૂ કર્યું ત્યા જ સિતારામભાઈ અને તેમના પત્ની સુશીલાબેન, પુત્ર રાહુલ અને રાજકિશોર આવી પહોચ્યા હતા.

‘અહી કઈ કામ નહી થાય’ જવા દો અહીંથી’ એમ કરી પરિવારના તમામ સભ્યોએ ઉસ્કેરાઈ જઈ તલાટીને ધક્કે ચડાવ્યા હતા. ત્યારબાદ ફળિયાનો દરવાજો બંધ કરી તલાટીને ઘેરી લઇ આરોપીઓએ કહ્યું હતું કે, ‘અહી ફરી આવતો નહિ નહિતર સારાવટ નહી રહે’ એમ કહી સીતારામભાઈએ તલાટીને ધક્કો મારતા તે પડી ગયા હતા. પછી સીતારામભાઈ પોતે તલાટીની ઉપર બેસી જઈ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આ પરિસ્થિતિમાંથી હેમખેમ ઉગરી તલાટી મકાન બહાર આવ્યા હતા અને મામલતદાર તેમજ નાયબ મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ આ બનાવ અંગે તલાટી વિરેન્દ્રસિંહએ બાવાજી પરિવાર સામે ફરજમાં રુકાવટ અને માર મારવા અને ધમકાવવા સબબ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here