ભાટિયા: સાત જન્મોના કોલ અધૂરા મૂકી પત્ની વિદાય થઈ, વિરહ સહન ન થતાં પતિએ પણ દુનિયા છોડી

0
1

જામનગર અપડેટ્સ: પત્નીના અકાળ અવસાનથી ભાંગી પડેલા એક યુવાને વિરહ અગ્નિમાં બળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. સાત જન્મો સુધી સાથે નિભાવવાના કોલ આપનાર પત્ની અડધે રસ્તે સાથ છોડી ગઈ, તો તેના વિયોગમાં ઝૂરતા પતિએ પણ માત્ર બે જ મહિનામાં પત્નીના પગલે ચાલીને ગળાફાંસો ખાઈ લીધો. આ હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર કલ્યાણપુર પંથકને હિબકે ચડાવ્યું છે.

જ્યાં પત્નીએ શ્વાસ છોડ્યા, એ જ ચોખઠે પતિએ પણ જિંદગી ટૂંકાવી
ભારે હૈયે અને આંખોમાં આસુ લાવી દે તેવી આ દુઃખદ ઘટનાની વિગતો મુજબ, ભાટિયા ગામના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય પ્રતાપભાઈ જેઠાભાઈ માતંગ વ્યવસાયે ડ્રાઈવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના સુખી સંસાર પર ગત તારીખ ૧૦ મે ૨૦૨૬ ના રોજ જાણે આભ તૂટી પડ્યું, જ્યારે તેમના પત્ની રાણીબેને કાનપર શેરડી ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને દુનિયાને અલવિદા કહી દીધું.
પત્નીના ગયા પછી પ્રતાપભાઈ સાવ એકલા પડી ગયા હતા. ઘરના ખૂણે-ખૂણામાં પત્નીની યાદો તેમને સતત કચવાટ આપતી હતી. પત્નીના વિરહમાં તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને રાત-દિવસ બસ ઉદાસ રહેતા હતા. અસહ્ય બની ગયેલી આ એકલતા અને પત્નીની સ્મૃતિઓ વચ્ચે ઝઝૂમતા પ્રતાપભાઈ આખરે ગઈકાલે (૭ જુલાઈ ૨૦૨૬) ના રોજ કાનપર શેરડી ગામે આવેલા એ જ મકાને પહોંચ્યા, જ્યાં તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા હતા. બપોરના સાડા ચારેક વાગ્યાના સુમારે, પત્નીના વિરહના આઘાતમાં તેમણે પણ એ જ કરૂણ માર્ગ અપનાવી ગળાફાંસો ખાઈ લીધો.


મૃત્યુ પણ જેને જુદા ન પાડી શક્યું:

“તારા વિના આ જિંદગી અધૂરી છે…” પત્નીના ગયા પછી જીવતેજીવ લાશ બની ગયેલા પતિએ પત્નીની યાદમાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. ટૂંકા ગાળામાં જ એક જ ઘરના બે કમાઉ અને વહાલસોયા સભ્યોના આપઘાતથી માતંગ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કાળજું કંપાવી દેનારા બનાવની જાણ મરણજનાર પ્રતાપભાઈના નાના ભાઈ ભરતભાઈ જેઠાભાઈ માતંગ (ઉં.વ. ૩૦) એ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી.

કલ્યાણપુર પોલીસે અકસ્માત મોત નં. ૩૮/૨૦૨૬, બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ એસ. ગોજીયાએ ઘટનાસ્થળે પહોંચીને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી આગળની તપાસ શરૂ કરી છે. પ્રેમના આ અત્યંત કરૂણ અને ગમગીન અંતને પગલે ભાટિયા અને કાનપર શેરડી ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે, અને લોકો ભીની આંખે આ દંપતીને યાદ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here