જામનગર: દિયર-ભાભીના પવિત્ર સબંધ વધુ એક વખત ધૂળ ધાણી થયા છે. લાલપુર તાલુકાના ઝાખર ગામે ક્ષત્રીય પરિવારના દિયરે જ ભાભીને પથ્થરના ઘા ફટકારી છુંદી નાખી કરપીણ હત્યા નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. ભાઈને ખબર પડી જતા ભાભી સાથેના અનૈતિક સબંધનો અંત આવ્યા બાદ અતરી અતરી રહેતી ભાભીને પતાવી દઈ દિયર નાશી છૂટ્યો, મહિલાના અકાળે અવસાનથી તેના બે બાળકો સહિતનો પરિવાર હાલ વેરવિખેર થઇ ગયો છે.

મૂળ કચ્છ જિલાના માંડવી તાલુકાના રાજણા ટેકરી ગામે રહેતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા ત્રીસેક વર્ષ પૂર્વે પોતાના પરિવાર સાથે જુનાગઢ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા અને અમરપર ગામે રહેવા જતા રહ્યા હતા. દરમિયાન બલવંતસિંહના લગ્ન લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા વિરાજી જાડેજાની પુત્રી રીનાબા સાથે થયા હતા. લગ્ન બાદ દોઢેક વર્ષ પછી બલવંતસિંહના પિતાનું અવસાન થયું હતું. ડ્રાઈવર તરીકે નોકરી કરતા બલવંતસિંહ પોતાના માતા, ભાઈ અને પત્નીનું ભરણપોષણ કરતા હતા. લગ્નના અઢી વર્ષ બાદ પોતાના નાના ભાઈ વિજયસિંહ અને પત્ની રીનાબા વચ્ચે અનૈતિક સબંધ બંધાયા હતા. જેની જાણ થતા જ પતિ બલવંતસિંહએ ભાઈ વિજયસિંહ અને પત્ની રીનાબાને સમજાવ્યા હતા. જે તે સમયે ભાઈ વિજયસિંહ ભાભીને પગે લાગી ભૂલ થઇ ગઈ હોવાની અને હવે પછી આવું નહિ થાય એમ ભાઈને વચન આપ્યું હતું. પરંતુ પાંચેક વર્ષ પછી ફરી વિજયસિંહે ભાભી રીનાબા સાથે સબંધ રાખવા લાગ્યો હતો.

આ બાબતની જાણ થઇ જતા જ ભાઈ બલવંતસિંહ પોતાના બે બાળકો અને માતા સાથે સસરાના ગામ ઝાંખર ખાતે રહેવા આવી ગયા હતા અને ભાડાનું મકાન રાખી ડ્રાઇવિંગ કામ શરુ કર્યું હતું. ભાઈ જાખર ગામે આવી ગયા બાદ વિજયસિંહ પણ ઝાખર ગામે આવી અન્ય જગ્યાએ રહેવા લાગ્યો હતો અને કોઈ દિવસ પોતાના ભાઈના ઘરે આવી જમી જતો હતો તો કોઈ દિવસ ઝાખર અને સીંગચ ગામે રહેતા બંને બનેવીના ઘરે જમવા જતો હતો. જો કે છેલ્લા ૩૫ દિવસથી વિજયસિંહ પોતાના ભાઈ બલવંતસિંહ સાથે જ રહેવા આવી ગયો હતો. ગઈ કાલે ઘરે આવેલ વિજયસિંહે જમવામાં દૂધ માંગતા ભાભી રીનાબાએ દૂધ નથી એમ કહેતા તેઓ જમ્યા વગર જ ઉભા થઇ ગયા હતા. ત્યારબાદ છોકરાઓના હાથમાંથી મોબાઈલ પડી જતા પતિ પત્ની વચ્ચે થોડી બોલાચાલી થઇ હતી. જેથી પત્ની રીનાબા મોબાઈલ લઇ રાત્રે જ પોતાના માતાપિતાના ઘરે ચાલી ગઈ હતી. જેની પાછળ દિયર વિજયસિંહ પણ ગયા હતા.

દરમિયાન ગામના રઘુભાના ઘરની પાસે વીજપોલ નજીક આંખ અને માથાના ભાગે કપાળ પાસે લોહીથી તરબતર હાલતમાં રીનાબા મળી આવ્યા હતા. ઘરેથી નીકળેલ ભાભી રીનાબાની પાછળ ગયેલ દિયર વિજયસિંહે જ ભાભી પર પથ્થરથી હુમલો કરી લોહી લુહાણ કરી નાશી ગયા બાદ તેણીનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનો આરોપ આરોપી વિજયસિંહના ભાઈ બલવંતસિંહે લગાવી મેઘપર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકનો કબજો સંભાળી આરોપીની શોધખોળ શરુ કરી છે. આરોપી પણ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. રીનાબાના અકાળે અવસાનથી સાવ સામાન્ય પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બલવંતસિંહે ગળગળા થઈ કહ્યું હતું કે બાળકો નાના છે માતાની પણ જવાબદારી છે. બાળકોને ભણાવવા ? ઘરનું કામ કરવું કે કામે જવું ?
અગાઉ પણ ભાભી પર છરી હુલાવી ચુક્યો છે
આરોપી પાંચેક વર્ષ પૂર્વે જુનાગઢ જીલ્લામાં રહેતા હતા ત્યારે આરોપી વિજયસિંહે ભાભી રીનાબાને કોઈ સાથે સબંધ રાખવો નહિ કોઈ સાથે મોબાઈલમાં વાત કરવી નહિ એમ કહી ઝઘડો કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી ઉસ્કેરાઈ જઈ આરોપી વિજયસિંહે ભાભી પર છરી વડે હુમલો કરી છાતીના ભાગે છરકો કરી ઈજા પહોચાડી હતી. આ ઘટનાના બીજા જ દિવસે પતિ બલવંતસિંહ પત્ની અને બાળકો સાથે ઝાંખર ગામે આવી ગયા હતા. ત્યાર બાદ દિયર-ભાભીના સબંધોમાં અંતરાવ આવ્યો હતો. અને બંને વચ્ચેના સબંધો વણસી ગયા હતા. ભાભી પોતાનું કહ્યું ન કરતા હોવાથી આરોપી દિયરે ભાભીનું કાસળ કાઢી નાખ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.