જામનગર અપડેટ્સ – કલ્યાણપુર:
વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે છેતરપિંડી થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાંથી કરોડોની ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના એક ખેડૂતના મોટાભાઈને વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના ત્રણ શખ્સોએ કટકે-કટકે રૂ. ૩૦,૩૭,૦૦૦ (ત્રીસ લાખ સાડત્રીસ હજાર) પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ૩૧ વર્ષીય વિજયભાઈ સુકાભાઈ ગોરાણીયાના મોટાભાઈને વિદેશ જવું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક વડોદરાના એજન્ટો સાથે થયો હતો. આરોપીઓએ વિજયભાઈને વિશ્વાસમાં લીધા હતા અને તેમના ભાઈને વિદેશ મોકલી આપવાની ખાતરી આપી હતી.
આ વિદેશ પ્રક્રિયાના બહાને આરોપીઓએ ફરિયાદી વિજયભાઈ પાસેથી અલગ-અલગ સમયે આંગળીયા પેઢી મારફતે કટકે-કટકે કુલ રૂ. ૩૦,૩૭,૦૦૦ મંગાવી લીધા હતા. ૨૧ મે ૨૦૨૪થી શરૂ થયેલી આ પ્રક્રિયા બાદ, આરોપીઓએ વિદેશ મોકલવા માટેની કોઈ જ કાયદેસરની પ્રોસેસ કરી નહોતી કે ન તો ફરિયાદીના ભાઈને વિદેશ મોકલ્યા હતા. પૈસા પડાવી લીધા બાદ એજન્ટોએ હાથ અધ્ધર કરી લેતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં અંતે વિજયભાઈએ પોલીસનો આશરો લીધો હતો.

વડોદરાના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ
આ મામલે કલ્યાણપુર પોલીસે ફરિયાદી વિજયભાઈ ગોરાણીયાની ફરિયાદના આધારે વડોદરાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ ચોપડે જાહેર થયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:
૧. દિક્ષીતભાઈ સુરેશભાઈ શાહ (રહે. વસંત વિહાર કોમ્પ્લેક્ષ, વાડી એસ.એન.રોડ, પાદરા, વડોદરા)
૨. વૈભવભાઈ સુરેશભાઈ શાહ રહે. વડોદરા)
૩. સાજણભાઈ પટેલ (રહે. મોટા બોડીયાવાગા, કાયાવારોહન, ડભોઈ, વડોદરા)
આરોપીઓ ગુનાહિત કાવતરું રચી, એકબીજાની મદદગારી કરી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬ (૨) (વિશ્વાસઘાત) અને ૫૪ (ગુનામાં મદદગારી) મુજબ ગુનો આચર્યો છે.

પોલીસ તપાસ તેજ
આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અંજલીબેન મકવાણાએ ગુનો દાખલ કર્યો છે. ઘટનાની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતજી રાણાજી ઓડેદરા ચલાવી રહ્યા છે. હાલ આરોપીઓની અટકાયત કરવાની તજવીજ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ આ કેસમાં આંગળીયા પેઢીના વ્યવહારો અને આરોપીઓના લોકેશનના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.





