જામનગર: ખ્યાતનામ કંપની શ્રીજી શિપિંગ સાથે આચરી ગાંધીધામના વેપારીએ કરોડો રૂપિયાની છેતરપિંડી

0
9

જામનગર અપડેટ્સ, જામનગર: જામનગર શહેરમાં આર્થિક ગુનાખોરીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગાંધીધામની એક પ્રતિષ્ઠિત હેન્ડલીંગ એજન્સીના ડાયરેક્ટર સામે ₹૨૦.૫૬ કરોડથી વધુની રકમની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિપિંગ સર્વિસ અને લોન પેટે મેળવેલી કરોડોની રકમ ન ચૂકવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૧૯થી ચાલતો હતો વ્યવહાર

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ છેતરપિંડીનો સિલસિલો સને ૨૦૧૯થી શરૂ કરીને આજદિન સુધી ચાલતો હતો. જામનગરમાં ટાઉનહોલ પાસે આવેલા શ્રીજી હાઉસ ખાતેથી સંચાલિત કંપનીઓ સાથે આરોપીએ વ્યાપારીક વ્યવહારો કર્યા હતા. લાંબા સમય સુધી નાણાં પરત ન મળતાં આખરે ગઈકાલે ૨૩ જૂન ૨૦૨૬ના રોજ રાત્રે ૨૦:૪૫ કલાકે પોલીસમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોની સામે થઈ ફરિયાદ?

જામનગરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં “મારુતિ” બંગલામાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા ૫૮ વર્ષીય પ્રૌઢ શ્રી જીતેન્દ્ર હરીદાસ લાલ (જાતે લોહાણા) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
તેમણે ગાંધીધામ ખાતે લીલાશાહ સર્કલ પાસે, પ્લોટ નં. ૬૪૦, ૧૨/સી માં કાર્યરત મહેશ્વરી હેન્ડલીંગ એજન્સી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે.

Screenshot

રૂપિયા ૨૦.૫૬ કરોડની છેતરપિંડીની વિગત

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી ચંદનકુમાર મહેશ્વરીએ ફરિયાદીની જુદી જુદી કંપનીઓ પાસેથી સેવાઓ મેળવી તેની ચૂકવણી કરી ન હતી:

  • શ્રીજી શિપિંગ કંપની: આ કંપની દ્વારા પૂરી પાડવામાં આવેલી બાર્જ અને ટગ ભાડે આપવાની સેવાઓ તેમજ અન્ય સ્ટીવડોરીંગ સર્વિસના ચાર્જ પેટેના ₹૨,૫૬,૭૨,૪૪૦ (બે કરોડ છપ્પન લાખ બોતેર હજાર ચારસો ચાલીસ) ચૂકવ્યા નથી.
  • સિદ્ધિ મરીન સર્વિસીઝ LLP: આ સંસ્થા પાસેથી લીધેલી વિવિધ સર્વિસના ચાર્જ પેટેના ₹૧૩,૭૩,૧૭,૬૮૭ (તેર કરોડ તોતેર લાખ સત્તર હજાર છસો સ્યાસી) બાકી રાખ્યા છે.
  • નરોતમકા કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ: ફરિયાદીની આ કંપનીમાંથી મેળવેલી લોનની રકમ વ્યાજ સહિત ₹૪,૨૬,૯૫,૨૫૭ (ચાર કરોડ છવ્વીસ લાખ પંચાણું હજાર બસો સત્તાવન) ચૂકવ્યા નથી.
    આમ, ત્રણેય વ્યવહારો મળીને કુલ ₹૨૦,૫૬,૮૫,૩૮૪ (વીસ કરોડ છપ્પન લાખ પંચ્યાસી હજાર ત્રણસો ચોર્યાસી) ની માતબર રકમ ન ચૂકવીને આરોપીએ ફરિયાદીની કંપનીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત આચર્યો છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

આ મામલે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાગ-અ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૯૨૬૧૩૮૩/૨૦૨૬ અન્વયે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૨) (ગુનાહિત વિશ્વાસઘાત) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કેસની પ્રાથમિક કામગીરી પો.સબ ઇન્સ. જે.બી.મોરસાણીયા તથા પી.એસ.ઓ. હેડ કોન્સ્ટેબલ એસ.પી.ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. હાલ આ ચકચારી કેસની વધુ ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી.રાજ ચલાવી રહ્યા છે. કરોડો રૂપિયાના આ કૌભાંડમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here