જામનગર અપડેટ્સ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષો જૂના રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કરવાના ગંભીર આક્ષેપો સાથે ગુનો નોંધાયો છે. વાડીનાર ગ્રામ પંચાયત કચેરીમાં વર્ષ 2003-04 તથા 2004-05 દરમિયાન જાહેર રેવન્યુ રેકર્ડમાં ખોટા પાના ઊભા કરી તેનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલે ખંભાળિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી નવીનચંદ્ર લાખાભાઈ બેડિયાવદરા દ્વારા વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે IPCની કલમ 466, 468, 471, 120(B), 34 અને 409 હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં આરોપી તરીકે બી.એન. વાઘેલા, જેઓ તા. 1 એપ્રિલ 2003થી 22 ઓક્ટોબર 2003 દરમિયાન વાડીનાર ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા, તેમનું નામ છે. જ્યારે બીજા આરોપી તરીકે સુરેશ એમ. મોટાણી, જેઓ તા. 23 ઓક્ટોબર 2003થી 31 માર્ચ 2005 દરમિયાન વાડીનારના તલાટી કમ મંત્રી તરીકે ફરજ પર હતા, તેમનું નામ નોંધાયું છે. તપાસ દરમિયાન અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેને પણ આરોપી બનાવવામાં આવી શકે છે.
જૂના રેકર્ડમાં નવા સર્વે નંબર દર્શાવ્યાનો આક્ષેપ
ફરિયાદ મુજબ વાડીનાર ગામના જૂના રેવન્યુ સર્વે નંબર 170 અને 172ના મૂળ રેવન્યુ રેકર્ડ, ગામ નમૂના નં. 7/12 તથા ફેરફારી નોંધોમાં ચેડા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. જૂના રે.સ. નં. 170માંથી નવા રે.સ. નં. 91 અને 210, જ્યારે જૂના રે.સ. નં. 172 પૈકી-1માંથી નવા રે.સ. નં. 211 દર્શાવી જાહેર રેવન્યુ રેકર્ડમાં ડમી/ખોટા પાના ઊભા કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ ઉપરાંત આવા દસ્તાવેજો ખોટા હોવાનું જાણતા હોવા છતાં તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં સમગ્ર કૃત્ય પરસ્પર કાવતરું રચીને અને સમાન ગુનાહિત ઇરાદાથી કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકાયો છે.
વહીવટી તપાસને કારણે ફરિયાદમાં વિલંબ
આ કેસમાં નોંધપાત્ર બાબત એ છે કે કથિત ગેરરીતિ વર્ષ 2003થી 2005ના સમયગાળાની છે, જ્યારે પોલીસ ફરિયાદ 22 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 2:15 વાગ્યે નોંધાઈ છે.
ફરિયાદ મોડેથી નોંધાવવાનું કારણ તરીકે બંને આરોપીઓ વિરુદ્ધ વહીવટી તપાસ ચાલુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે, વહીવટી તપાસની પ્રક્રિયા દરમિયાન મામલો સામે આવ્યા બાદ હવે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
હાલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે ગુનાની તપાસ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.સી. પટેલને સોંપી છે. તપાસ દરમિયાન જૂના રેવન્યુ રેકર્ડ, 7/12 ઉતારા, ફેરફારી નોંધો તથા અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
20 વર્ષથી વધુ જૂના રેવન્યુ રેકર્ડમાં કથિત ચેડાના આક્ષેપોને પગલે હવે પોલીસ તપાસમાં હકીકતમાં કયા દસ્તાવેજો સાથે ચેડા થયા, કોણે કર્યા અને સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં તે બહાર આવવાની શક્યતા છે.





