જામનગર અપડેટ્સ: જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપર ગામે રાજકોટ રેન્જ ટીમે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવતા હોવાની બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી ચીજવસ્તુઓની બનાવટ અને વેચાણ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમે હરિપર ગામમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગામમાં રહેતા છ જેટલા શંકાસ્પદ દૂધના ધંધાર્થીઓના રહેણાંક મકાન તેમજ દૂધની ડેરીઓ પર રેડ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં અલગ-અલગ સ્થળેથી શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન કુલ આશરે ૭૧૫૦ લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી તેમજ 15 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન વિરાભાઈ બાબનભાઈ ભારાઈ, અરજણભાઈ સન/ઓક હમીરસાઈદ ઉકાભાઈ હુણા, બધાભાઈ સન/ઓક બાબનભાઈ રામભાઈ ચાવડા, મેહુભાઈ સન/ઓક બધાભાઈ કરશનભાઈ વંશ, રાણાભાઈ સન/ઓક ભટકભાઈ નાથાભાઈ ભારાઈ તથા બોધાભાઈ સન/ઓક નાથાભાઈ માયાભાઈ વંશ સહિતના શખ્સોના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
મળી આવેલા શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ માટે સેમ્પલ સંબંધિત અધિકારીઓને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શંકાસ્પદ દૂધના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પરથી મળી આવેલ શંકાસ્પદ ભેળસેળયુક્ત બનાવટી દૂધ, વનસ્પતિ ઘી તથા દૂધ બનાવવાના પાવડરનો નાશ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

ભેળસેળયુક્ત દૂધ અને અન્ય સામગ્રીના ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ દૂધના ધંધાર્થીઓ સામે પણ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હરિપર ગામે થયેલી આ કાર્યવાહીએ દૂધમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે. હવે સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કડક કાર્યવાહી થાય તેવી શક્યતા છે.





