ચૈતર વસાવાને સજા એ વિપક્ષનો અવાજ દબાવવાનું કાવતરું : MLA હેમત ખવા

0
3

જામનગર અપડેટ્સ, જામજોધપુર:આમ આદમી પાર્ટી (AAP) ના લોકપ્રિય નેતા અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ ગણાતા ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજા અંગે જામજોધપુર-લાલપુર વિસ્તારના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ સત્તાધારી પક્ષ (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા છે. પત્રકાર પરિષદમાં ધારાસભ્ય હેમંત ખવાએ જાહેર કરીને આ સમગ્ર કાનૂની કાર્યવાહીને સત્તાપક્ષની રાજકીય દ્વેષભાવનાથી પ્રેરિત ગણાવી છે.

આદિવાસી સમાજના અધિકારો માટે લડતા નેતાને ટાર્ગેટ કરાયા

ધારાસભ્ય હેમંત ખવાએ ભાજપ સરકારની દમનકારી નીતિઓની આકરી આલોચના કરતા જણાવ્યું છે કે,”આજે ચૈતર વસાવાને જે રીતે સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે, તે માત્ર એક સામાન્ય કાયદાકીય પ્રક્રિયા નથી. આ તો વિપક્ષના એક મજબૂત અવાજને અને ખાસ કરીને પોતાના હકો માટે લડતા આદિવાસી સમાજના લોકનેતાને રાજકીય રીતે ટાર્ગેટ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે. સત્તાપક્ષ હંમેશા એવા નીડર નેતાઓથી ડરે છે જેઓ જનતાના ન્યાય માટે રસ્તા પર ઉતરીને લડત આપે છે.”

લોકશાહીમાં જનતાનો અવાજ ક્યારેય દબાવી શકાશે નહીં

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શાસક પક્ષ ભલે વિપક્ષ અને આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવનારા નેતાઓનો અવાજ દબાવવાના ગમે તેટલા પ્રયત્નો કરી લે, પરંતુ લોકશાહીમાં જનતાનો અવાજ ક્યારેય દબાવી શકાતો નથી. જળ, જમીન અને જંગલની રક્ષા માટે તેમજ ગરીબોના કલ્યાણ માટે ચૈતર વસાવાએ જે લોક-લડત ઉપાડી છે, તેને કોઈ સજા કે જેલનો ભય રોકી શકશે નહીં.

ઉચ્ચ અદાલતમાં કાયદાકીય લડત લડીને સત્યનો વિજય થશે

સત્તાના નશામાં ચૂર ભાજપના શાસકોને ચીમકી આપતા હેમંત ખવાએ જણાવ્યું કે, શાસકો એ ન ભૂલે કે લોકશાહીમાં જનતા જ અંતિમ ભાગ્યવિધાતા છે. આજે આદિવાસી સમાજ અને વિપક્ષને ડરાવવાનો જે પણ પ્રયાસ થઈ રહ્યો છે, તેનો યોગ્ય જવાબ ગુજરાતની જનતા આગામી સમયમાં ચોક્કસ આપશે. તેમણે ન્યાયતંત્ર પર પૂરો ભરોસો વ્યક્ત કરતા આશા વ્યક્ત કરી છે કે ઉચ્ચ અદાલતમાં કાયદાકીય લડત લડીને આખરે સત્યનો જ વિજય થશે.

આમ આદમી પાર્ટીનો એક-એક કાર્યકર્તા મક્કમતાથી સાથે ઊભો છે

અંતમાં ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું હતું કે, આમ આદમી પાર્ટીનો એક-એક કાર્યકર્તા અને નેતા આ અન્યાય સામે મક્કમતાથી ચૈતર વસાવા સાથે ઊભો છે. જનતાના અધિકારોની આ લડત ભવિષ્યમાં વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચ સત્તાધીશોને આપી છે. આજની પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસરામભાઈ આહીર, શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here