જામનગર: બોગસ ડોક્ટરોને ડામવા કાયદામાં સુધારો અને હોસ્પિટલની સમસ્યાઓ દૂર કરવા આરોગ્ય મંત્રીનું વચન

0
2

જામનગર: જામનગરની સરકારી મેડિકલ કોલેજ ખાતે આજે વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પ્રેરણાદાયી કાર્યક્રમ ‘નમો મૈત્રી સંવાદ’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખાસ હાજરી આપી હતી. મેડિકલના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ પર રહેતા ભારે માનસિક દબાણ, તણાવ અને તેના કારણે સામે આવતા આત્મહત્યા કે રેગિંગ જેવા ગંભીર બનાવોને અટકાવવા માટે મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ બેસીને મનની વાત કરી હતી અને તેમને ગીતાજીનું જ્ઞાન તેમજ પુસ્તકો ભેટમાં આપીને આધ્યાત્મિક શક્તિ કેળવવા પ્રેરણા આપી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં આરોગ્ય મંત્રીએ રાજ્યમાં ક્લિનિક ચલાવતા બોગસ અને ડુપ્લિકેટ ડોક્ટરો સામે કડક કાનૂની વલણ અપનાવવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, વિધાનસભામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયાને લઈને નવા કાયદાકીય સુધારાઓ પસાર કરવામાં આવ્યા છે. હવેથી એલોપેથી, આયુર્વેદ કે હોમિયોપેથી પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટરોએ પોતાના ક્લિનિક પર રજિસ્ટ્રેશન નંબર લખવો ફરજિયાત બનશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આવા તત્વોને પકડવા માટે કડક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આઉટસોર્સિંગ કે ટેમ્પરરી કર્મચારીઓ દ્વારા થતી ગેરરીતિઓ પર પણ સરકાર હવે કડક નજર રાખશે.

આ ઉપરાંત, જામનગર ડેન્ટલ કોલેજમાં સામે આવેલા કથિત ગેરરીતિના વિવાદ અને જી.જી. સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે ગરીબ દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે તે પ્રશ્ન અંગે મંત્રીએ સંવેદનશીલતા દાખવી હતી. તેમણે ખાતરી આપી હતી કે, હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડન્ટ સાથે આ બાબતે તાત્કાલિક બેઠક યોજીને વ્યવસ્થાઓ સુધારવામાં આવશે જેથી દર્દીઓને કોઈ હાલાકી ન ભોગવવી પડે. મંત્રીએ ઉમેર્યું હતું કે, તેઓ આગામી સમયમાં રાજ્યની દરેક મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે આવો જ સીધો સંવાદ ચાલુ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here