જામનગર : જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે ધડાધડ ફાયરીંગ કરી ઘાતક હથિયારો વડે હુમલો કરી ઉપ સરપંચની હત્યા નીપજાવતા પૂર્વે આરોપીએ બે દિવસ પૂર્વે જ ઓફીસ પર આવી ઘંધા પેટે હપ્તાની માંગણી કરી બે દિવસમાં જોઈ લેવાની ધમકી આપી હતી. બે દિવસ વીતી જતા આરોપીઓએ પરત ઓફીસ આવી ધડાધડ ફાયરીંગ કરી ઉપસરપંચની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. કોઈ ફિલ્મને આંટે એવી ગુંડાગીરીભરી વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી ગયા છે.
જોડિયા તાલુકાના બાલંભા ગામે શનિવારે સાંજે છએક વાગ્યે ફિલ્મમાં જ જોવા મળતી માફિયાગીરી સમા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં બાલંભા ગામના ઉપસરપંચ એવા કાંતિભાઈ રામજીભાઈ માલવિયા પોતાની રેતીની લીઝની ઓફીસ પર હતા ત્યારે આ જ ગામના અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુસેનભાઇ કમોરા અને તેની સાથેના અન્ય બે અજાણ્યા સખ્સો આવી ચડ્યા હતા. બંદુક અને બંદુક અને તલવાર તથા ધારીયા સાથે આવી ચડેલા સખ્સોને જોઈ કાન્તીલાલ માલવીયા કઈ સમજે તે પૂર્વે જ આરોપી અયુબે પોતાની પાસેની બંદુકમાંથી ફાયરીંગ કરી છાતીના ડાબા ભાગે ગોળી મારી દેતા અફરાતરફી મચી ગઈ હતી. ડાબી બાજુએ ગોળી વાગતા જ લોહીના ખાબોચીયામાં ઢસડી પડેલા કાંતિભાઈનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના ભાઈ દોડી આવ્યા હતા, જેને લઈને આરોપીઓએ અન્ય હથિયારો વડે હુમલો કરી નિલેશભાઇના જમણા હાથના અંગુઠા તથા પ્રથમ આંગળી વચ્ચે ઈજાઓ પહોચાડી હતી. આ વારદાતને અંજામ આપી આરોપીઓ નાશી ગયા હતા. ફાયરીંગ અને હત્યાના બનાવના પગલે જોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકનો કબજો સંભાળી પંચનામું તથા નિવેદનો સહિતની વિધિ કરી હતી. આ બનાવ અંગે મૃતકની ઓફિસમાં કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા ઘવાયેલ નીલેશભાઈએ ઉપરોક્ત તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૦૨, ૩૨૬, ૪૨૭, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે દિવસ પૂર્વે આરોપી અયુબ ઓફિસે આવ્યો હતો અને મૃતક કાંતિભાઈને ધમકી આપી હતી કે તમારે રેતીની લીઝ ચલાવવી હોય તો અમોને પૈસા આપવા પડશે, નહીતર બે દિવસમાં તમારો નિકાલ થઇ જશે, આવું કહી આરોપી ચાલ્યો ગયો હતો. આ બાબતનુ મનદુખ રાખી અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુસેનભાઇ કમોરા સહિતના આરોપીઓ ગઈ કાલે બદલો લેવાની ભાવનાથી ઓફિસે આવી ધડાધડ ફાયરીંગ કરી કાંતિભાઈની હત્યા નીપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જોડિયા પીએસઆઈડી.પી.ચુડાસમા સહિતના સ્ટાફે આરોપીઓની શોધખોળ શરુ કરી છે.