જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું આજે અવસાન થતાં પરિવાર સહિત ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાગ્રસ્ત બન્યા બાદ કાળુભાઈ સારવાર લઇ સ્વાસ્થ્ય થયા હતા. ગઈ કાલે એકાએક તબિયત લથડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કાળુભાઈના નિધનથી આહીર સમાજને અગ્રણી ગુમાવ્યાની મોટી ખોટ પડી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ પંક્તિના રાજકીય આગેવાન અને જનસંઘ વખતથી જ ભગવાને વરી ચૂકેલ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર એવા કાળુભાઈ ચાવડાનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ સમાચાર વાયુ વેગે પ્રસરી જતા દેવભૂમિ દ્વારકા અને જામનગર ભાજપના શોકનું મોજું ફરી વળ્યું હતું. મૂળ ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના કાળુભાઈ વ્યવસાય અર્થે ખંભાળિયા સ્થાયી થયા હતા. જો કે વ્યવસાયની સાથે સાથે ભાજપમાં પણ એટલા જ સક્રિય થઈ પાર્ટી પ્રત્યે વફાદારી દાખવી, પરિણામે બબ્બે વખત ખંભાળિયા વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય તરીકે મોટી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા. ખંભાળિયાના ધારાસભ્ય ઉપરાંત સ્વ. ચાવડા તાલુકા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. છેલ્લે ગત વિધાનસભાની ચૂટણીમાં ભાજપ તરફથી દાવેદારી પણ કરી હતી. ભાજપની સાથે સાથે આહીર સમાજના આગેવાન તરીકે પણ સમાજના અનેક કામો કરી પ્રસિદ્ધિ મેળવી હતી. કાળુભાઇના નિધનથી ભાજપને તો ખોટ પડી જ છે સાથે સાથે આહીર સમાજને પણ મોટી ખોટ પડી છે.