મોર્નિંગ અપડેટ્સ : કોરોનાની મંદ ગતી, જમીન કાયદાની કડક અમલવારીના સંકેત, ચૂંટણી ધમધમાટ

0
647

જામનગર અપડેટ્સ : શાળાઓ ખોલવા તરફના સરકારના સંકેતો અને રસીકરણને લઈને હાલારમાં ગઈ કાલનો દિવસ ચર્ચામાં રહ્યો હતો. સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ અને ગતિવિધિઓ તેજ બની છે. કોરોનાની મંદ પડેલ ગતિ સારા સંકેત છે. સરકારે જમીન પેશકદમી માટે બનાવેલ નવા કાયદાની કડક અમલવારીના ગઈ કાલે સંકેત આપ્યા છે. આ તમામ બાબતો જીલ્લાભરમાં મુખ્ય બાબત બની રહી હતી. આ તમામ બાબતો અંગે સંક્ષિપ્ત સમાચાર સાર અહી પ્રસ્તુત છે….

(૧) સમગ્ર વિશ્વ કોવીડ સામે જજુમી રહ્યું છે. ત્યારે જામનગરમાં અત્યારસુધીમાં કુલ ૩૪૭૭૦૦ ઉપરાંત દર્દીઓના પરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં જામનગર શહેરમાં ૧૯૧૬૫૯ દર્દીઓના પરીક્ષણ કરાયા છે જેમાં ૨૧ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. ગઈ કાલે ૧૪ દર્દીઓ નવા ઉમેરાયા છે. જયારે નવ દર્દીઓને રજા આપવામાં આવી છે.

(૨) કોરોનાની સારવાર અને દર્દીના સ્વાસ્થ્ય માટે પ્લાઝમા થેરાપી અસરકારક રહી છે. જેમાં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ સારા થયેલ દર્દીઓના પ્લાઝમા ડોનેટ લેવામાં આવ્યા છે. કુલ ૨૧૫ વ્યક્તિઓએ પ્લાઝમાનું દાન કરી ઉતમ કાર્ય કર્યું છે. આ વ્યક્તિઓ પૈકી અનેકે તો બે થી વધુ વખત પ્લાઝમા દાન કર્યું છે. પ્લાઝમા એક એવી પ્રક્રિયા છે જેમાં કોરોનાને મ્હાત આપી ચૂકેલ વ્યક્તિના શરીરમાંથી પ્લાઝમા લેવામાં આવે છે. આજ દિવસ સુધીમાં ૩૯૦ દર્દીઓને પ્લાઝમા થેરપી આપવામાં આવી છે. આ થેરપી લીધેલ દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થયો છે.


(૩)સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટને લાગુ કરાયા બાદ રાજ્યભરમાં અમલવારી શરુ કરી દેવામાં આવી છે. રાજકોટમાં બે ફરિયાદ પણ થઇ છે. ત્યારે જામનગરમાં પણ દબાણકારો સામે કાર્યવાહી કરતા પૂર્વે તંત્ર દ્વારા આખરી વોર્નિંગ આપવામાં આવી છે. જેમાં જામનગર નજીકના દરેડ ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં બે સર્વે નમ્બરમાં વ્યાપક પેશકદમી અને દબાણો ખડકાઈ ગયા છે. આ સખ્સોને જગ્યા ખાલી કરી આપવા માટે આ વિસ્તારમાં માઈક સાથે રીક્ષા ફેરવવામાં આવી હતી જેમાં દબાણ હટાવો અથવા લેન્ડ ગ્રેબિંગના કેસ માટે તૈયાર રહો એવી સ્પષ્તા કરવામાં આવી છે

(૪) જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા વધારે બેઠકો કબજે કરવા તૈયારીઓ આદરી દીધી છે. આ પ્રક્રિયાના ભાગ રૂપે કોંગ્રેસ દ્વારા ભાવી ઉમેદવારોની સેન્સ લેવાની કાર્યવાહી શરુ કરાઈ છે. ગઈ કાલે ચૂંટણી પ્રભારીઓએ જનરલ મીટીંગ યોજી વોર્ડ નમ્બર ૧,૨ ૧૨,૧૫ના ઉમેદવારોની સેન્સ લીધી હતી. આજે પણ આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે  

(૫) મહાનગરપાલિકાએ ભૂતિયા નળ જોડાણ કાયદેસર કરવાની મુદ્દત વધારી દીધી છે. રૂપિયા ૫૦૦ અને વર્ષની ફી ભરી કાયદેસર નળ જોડાણ લેવા અપીલ કરવામાં આવી છે. આગામી ૩૧ જાન્યુઆરી સુધી આ પ્રક્રિયા લંબાવવામાં આવી છે. શહેરમાં હજુ ૧૪ હજાર ઉપરાંત ગેર કાયદેસર નળજોડાણ અસ્તિત્વ ધરાવતા હોવાનો અંદાજ લગાવાયો છે.  

(૬) ઠારના કારણે ઠંડીનું જોર યથાવત, દરિયાઈ પટ્ટી પર ફૂલગુલાબી ઠંડી જયારે મધ્યભાગમાં તાપમાનનો પારો ૧૦.૭ પર યથાવત, હજુ પણ ત્રણ ચાર દિવસ ઠંડીનો પ્રભાવ રહેશે સમગ્ર હાલર પર, સેવાભાવીએ સેવા કાર્ય હાથ ધરી ખુલ્લામાં સુતેલા જરૂરિયાતમંદ અને ઘર વિહોણા નાગરિકોને કંબલ-ચાદર અને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

(૭) અજામાં વ્યાપારનું હબ ગણાતા જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજામાં વ્યાપારમાં તેજી જોવા મળી, ગઈ કાલે મહતમ ૫૪૦૦ રૂપિયા ભાવ બોલાયો હતો. ગઈ કાલે યાર્ડ ખાતે પહોચેલા ૭૧૦ ખેડૂતોએ ૧૭૨૬૧ મણ જણસી વેંચી હતી. જયારે અજમાનું હબ ગણાતા યાર્ડમાં ગઈ કાલે ૧૮૮૧ મણની આવક થઇ હતી. જેમાં મહતમ ભાવ ૫૪૦૦ બોલાયો હતો. જે એક જ દિવસમાં ૯૦૦ રૂપિયાનો ઉછાળો સૂચવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here