ખંભાળિયા: સાત સખ્સોએ અઢી કરોડની ઉઘરાણી નહી આપતા ખેડૂતે દવા પી આપઘાત કર્યો

0
1108

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ભાડથર ગામે રહેતા એક ખેડૂત- વેપારીએ ખંભાલીયા અને કલ્યાણપુરના ખેડૂતો પાસેથી ખરીદેલ મગફળી અને ચણાનો બે કરોડ ઉપરાંતનો માલ માંગરોળના વેપારીઓ ખરીદી કરી લઇ ગયા બાદ એક રૂપિયો નહી ચુકવતા આખરે ભાડથરના ખેડૂત વેપારીએ આપઘાત કરી લીધો છે. ખેડૂતની પુત્રીએ આરોપીઓ સામે પિતાને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બાબતે મૃતકે અગાઉ રજૂઆત પણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા પગલા નહી ભરવામાં આવતા આખરે ખેડૂત વેપારીએ આપઘાત કરી લીધો છે.

ખંભાલીયા તાલુકાના ભાડથર ગામે રહેતા ભાયાભાઇ જગાભાઇ ચાવડા ઉવ ૫૦ નામના ખેડૂતે બે દિવસ પૂર્વે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાબતે મૃતકની પુત્રી મીતુબેને ખંભાલીયા પોલીસ દફતરમાં પોતાના પિતાને મરવા મજબુર કરાયા હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપી રમેશભાઇ ભાયાભાઇ પીઠીયા રહે. બામણવાડા તા.માંગરોળ, ક્રિષ્ના રમેશભાઇ પીઠીયા રહે. બામણવાડા તા.માંગરોળ, મુળુભાઇ બાબુભાઇ પીઠીયા રહે. બામણવાડા તા.માંગરોળ, અજય બાબુભાઇ પીઠીયા રહે. બામણવાડા તા.માંગરોળ, રોહિત રહે.જુનાગઢ,, અને સંજય બારડ રહે.જુનાગઢ તથા મુકેશભાઇ નામના સખ્સોએ મરણ જનાર ભાયાભાઇ જગાભાઇ ચાવડા ઉવ.૫૦ વાળાએ કમીશન પેટે ચાલુ વર્ષે ૧૪૬૪૨ મણ મગફળી તથા ૧૯૯૫ મણ ચણા મળી રૂ.૧,૯૧,૦૦૦૦૦/-(એક કરોડ એકાણુ લાખ)નો જથ્થો ખરીદ કર્યો હતો. ભાયાભાઈએ ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના ઘણા બધા ખેડુતો પાસેથી બાકીમા રાખી આ જથ્થો ખરીદ કરી આરોપીઓને ઉધારમાં વેચાણ કર્યો હતો. આ વેપાર પહેલા આરોપી રમેશ પીઠીયાની દીકરીના લગ્ન પેટે રૂ.૧૭,૦૦૦૦૦ પણ હાથ ઉછીના આપ્યા હતા. આ ઉપરાંત આરોપી અજય અને રોહિતે માંગરોળ એક્સીસ બેંકમાંથી મૃતકના નામથી આરોપી રમેશ ને રૂપીયા પંદર લાખની લોન અપાવી દીધી હતી. આમ આરોપીઓએ ભાયાભાઈને કુલ રૂ.૨,૪૯,૦૦૦૦૦નું દેવું કરાવી. આરોપી ક્રિશ્ના અને રમેશે એ દબાવી રાખી, એક રૂપિયો પણ ચૂકવ્યો નહતો.

બીજી તરફ ભાયાભાઈએ જે ખેડૂતોનો માલ લીધો હતો તે  ખંભાળીયા અને ક્લ્યાણપુર તાલુકાના ખેડુતોની ઉઘરાણી પણ સતત વધતી જતી હતી. જયારે ભાયાભાઈએ રમેશ અને ક્રિશ્ના પાસે અવાર નવાર રૂબરૂ અને ફોનથી ઉધરાણી કરવા છતા પણ બંને આરોપીઓએ એક પણ રૂપિયો ચૂકવ્યો નહી, આખરે  ભાયાભાઈએ આ બાબતે સ્થાનિક પોલીસમાં અરજી કરી આરોપીઓ સામે પગલા ભરવાની  માંગણી કરી, જેમાં પણ પુરતો સહકાર નહી મળતા અને તમામ આરોપીઓએ ‘હવે પછી પૈસાની ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખીશ’ એવી ઘમકી આપતા મૃતક પોતાને થયેલ કરજ અને આરોપીની ધમકી અંગેનો વિડીઓ બનાવી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે અંતે આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here