દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયાની ભાગોળે જામનગર-દ્વારકા ધોરી માર્ગ પરના ઓવરબ્રીજ પર ગઈ કાલે કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલ અકસ્માતમાં ઓખા મંડળના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે એક યુવાનને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે.
ખંભાલીયાની ભાગોળે જામનગર ધોરી માર્ગ પર પ્રથમ ઓવર બ્રીજ પર માર્કેટ યાર્ડ સામે ગઈ કાલે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે GJ-37-B-6858 નંબરની ઈનોવા કારના ચાલકે પુરઝડપે તઅને બેફીકરાઇથી ગફલતભરી રીતે કાળ ચલાવી GJ-16-AS-6262 નંબરના મોટર સાયકલને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. જેમાં બાઈક પરથી ફંગોળાઈ ગયેલ રૂષી રાજેશભાઇ જોષી ઉ.વ-૨૬ રહે-મીઠાપુર જી-દેવભુમિ દ્વારકા વાળાને ગંભીર ઇજાઓ પહોચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે બાઈક પાછળ બેસેલ ભરતભાઇ લુણાવીયાને શરીરે તેમજ માથાના ભાગે ફેકચર તેમજ ગંભીર ઇજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે મૃતકના સબંધી અશોકભાઈ વાલજીભાઈ ત્રીવેદી ઉ.વ.-૩૬ની ફરિયાદના આધારે ઈનોવા કારના ચાલક સામેં કાયદાકીય કાર્યવાહી કરવા ગતિવિધિ શરુ કરી છે.