ખંભાળિયા: મગફળીના વેપારીનું 88 લાખનું ફુલેકું

0
6162

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી મગફળી અને ચણાના પાકની ખરીદી કર્યા બાદ આહીર સિંહણ ગામના વેપારી પૈસા ચૂકવ્યા વગર ભૂગર્ભમાં ઉતરી જતા સનસનાટી મચી જવા પામી છે. આ વેપારી તાલુકાના જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી જણસી ખરીદી રૂપિયા 88.95 લાખની છેતરપિંડી આચરી નાસી ગયો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને ખંભાળિયા પોલીસ દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વેપાર કરતો એક વેપારી અનેક ખેડૂતો પાસેથી જુદી જુદી લઈ પૈસા ચૂકવ્યા વગર ફૂલેકું ફેરવી નાસી ગયો હોવાની ચર્ચાઓ થતી હતી આ ચર્ચાઓ વચ્ચે ગઈકાલે ખંભાળિયા પોલીસ દફતરમાં આ પ્રકરણ સંબંધિત ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા મુરુ લખુભાઈ કરમુર નામનો સખ્સ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકાના જુદા જુદા ગામડાઓમાં જઈ ચણા અને મગફળી સહિતની જણસીઓનો વેપાર કરતો હતો. ગત તારીખ 1/11 થી 26/11 સુધીના ગાળા દરમિયાન આ વેપારીએ 25 દિવસમાં વડાલીયા સિંહણ તથા આજુબાજુના ગામડાઓમાંથી ખેડૂતોની ચણા અને મગફળીના પાકની ખરીદી કરી હતી. આ જણસી ખરીદી કર્યા બાદ અઠવાડિયાના સમયગાળામાં રૂપિયા ચૂકવી આપવા વેપારીએ વાયદો કર્યો હતો.

પરંતુ આ સમય વીતી જવા છતાં વેપારીએ પૈસા નહીં ચૂકવતા જુદા જુદા ગામડાઓમાંથી પૈસાની માંગ ઉઠવા પામી હતી. ખેડૂતોની ઉઘરાણી વધી જતા આખરે વેપારી મોબાઈલ સ્વીચ ઓફ કરી અજ્ઞાત સ્થળે નાસી ગયો હતો. જેને લઇને તાલુકાના ગામડાના ખેડૂતોએ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીના આધારે વડાલીયા સિંહણ ગામના ખેડૂત લખુભાઈ છુછરએ ગઈકાલે ખંભાળિયા પોલીસ દફતરમાં આરોપી મુરૂભાઈ કરમુર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના સહિત જુદા જુદા ગામડાના ખેડૂતો પાસેથી આ વેપારીએ રૂપિયા 88,95,735 નો મગફળી અને ચણાનો વેપાર કરી પૈસા નહીં ચૂકવી ક્યાંક નાસી ગયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here