જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાછીકારી ગામે હત્યા કરી સળગાવી દેવાયેલ મૃતદેહની ઓળખ થયા બાદ તુરંત ભેદ પણ ઉકેલાઈ ગયો છે. મૃતકના પુત્રએ જ પિતાનું ઢીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે. દારૂ પીવાની ટેવ વાળા પિતા વારે વારે ઝઘડા કરતા હોવાથી પુત્રને રીસ ચડતા એક જ લાકડાનો ધોકો ફટકારી પતાવી દીધા હોવાનો ઘટઃસ્પોટ થયો છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. હત્યા નિપજાવ્યા બાદ પુત્રએ જ પિતાના મૃતદેહ ને વાડીની સામેની જાળીઓમાં ફેકી સળગાવી દીધા હોવાની કબુલાત કરી છે.
ચકચારી હત્યા પ્રકરણની વિગત મુબજ, લાલપુર તાલુકાના કાનાછીકારી ગામે બે દિવસ પૂર્વે સીમ વિસ્તારમાં એક અજાણ્યા પ્રૌઢની હત્યા નીપજાવી સળગાવી દેવાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને સ્થાનિક પોલીસે અજાણ્યા સખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતદેહ મળ્યાના બીજા જ દિવસે મૃતકની ઓળખ થવા પામી હતી. મૃતક કાના છીકારી ગામે રહેતા હથીયાભાઈ પરબતભાઈ બાપોદરા ઉવ ૫૦ ની હોવાનું સામે આવ્યું હતું. જો કે પરિવારે પ્રૌઢ મિસિંગ નહિ હોવાની રાવ નહી કરતા પોલીસને તેમની પર શંકા ગઈ હતી. જેમાં આ બનાવ પરથી પરદો ઊંચકાઈ ગયો હતો. પોતાની માલિકીની જમીન દારુ-જુગારમાં ઉડાવી દીધા બાદ મૃતક પોતાના સસરાની કાનાછીકારી ગામે આવેલ દસ વીઘા જમીન વાવતા હતા. લાંબા સમયથી અહી રહી ખેતી કરતા પ્રૌઢને સંતાનમાં બે દીકરી અને બે દીકરા છે. જમીન વેચાઈ જવા છતાં દારૂ-જુગારની લત નહી જતા ઘરમાં વારે વારે ઝઘડા થતા હતા. વારે વારે ઝઘડાથી તંગ આવી ગઈ તેઓના મોટા પુત્ર રાજુ ઉર્ફે રાજેશએ બે દિવસ પૂર્વે વાડીએ અન્ય ભાઈ અને માતાની હાજરીમાં બોલાચાલી થઈ હતી જેમાં ઉસ્કેરાઈ ગયેલ પુત્ર રજુએ ઘરમાંથી લાકડાનો ઘોકો કાઢી પિતા પર હુમલો કરી એક ઘા માથાના ભાગે ફટકારી દેતા પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ આ ઘટના પરથી પરદો પાડી દેવા પુત્રએ જ પિતાના મૃતદેહને સીમ વિસ્તારમાં બાવળની જાળીઓમાં લઇ જઈ સળગાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેનો તાગ મેળવવા તેમજ લાકડાનો ધોકો કબજે કરવા લાલપુર પીએસઆઈ ડી એસ વાઢેર સહિતના સ્ટાફે આરોપીની પુછ્પરછ શરુ કરી છે.