જામનગર :જામનગરમાં છેલ્લા છ માસથી કોરોનાએ અજગરી ભરડો લીધો છે. દરરોજ કોરોના વોર્ડમાં દર્દીઓના મૃત્યુ નીપજી રહ્યા છે. આ આંકડો એક હજારને પહોચવા આવ્યો છે અને હજુ મોતની રફતાર ચાલુ જ છે ત્યાં જામનગરમાં ત્રણ દરવાજા પાસે રહેતા એક પરિવારના બાળ સગ્ગા ભાઈઓના પાંચ દિવસના ગાળામાં મૃત્યુ નીપજતા પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં પખવાડિયા પૂર્વે તાવની બીમારીથી એક દર્દીનું મૃત્યુ નીપજ્યા બાદ છેલ્લા પાંચ દિવસના ગાળામાં બે બાળ ભાઈ દર્દીના મૃત્યુ નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. જેમાં ત્રણ દરવાજા નજીકના વિસ્તારમાં રહેતા પરિવારના બે વર્ષીય પુત્ર આર્યન પ્રકાશભાઈ વિન્જોડાને તાવની બીમારી સબબ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા બાદ પાંચ દિવસ પૂર્વે તા. ૨૧મીના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બાળકના મૃત્યુ બાદ તેના જ સગ્ગા ભાઈ ધનરાજ ઉવ ૧૦ને પણ તાવ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકોના વોર્ડમાં સારવાર લઇ રહેલ આ બાળકનું પણ મૃત્યુ નીપજ્યું હતું. પાંચ દિવસમાં બે સગ્ગભાઈઓના મૃત્યુના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ પરિવારજનોએ તબીબી બેદરકારીનો પણ આક્ષેપ લગાવ્યો છે.