જામનગર અપડેટ્સ : ખીજડિયા બાયપાસ હોટેલના માલિક રેસ્ટરૂમમાં સુતા બાદ રૂપિયા 22 હજારની ચોરી થઈ હોવાની પંચકોશી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તબિયત સારી ન હોવાથી હોટેલના જ રેસ્ટ રૂમમાં આરામ કરવા ગયા બાદ હોટેલમાં કામ કરતા બે શખ્સો કળા કરી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
અનેક જગ્યાએ એવું બનતું આવ્યું છે કે જે સખ્સોએ જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થુક્યું હોય, આવી જ આશંકા દર્શાવતો કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે. જેમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટેલ ચલાવતા નીલેશભાઇ નવનીતભાઇ ઘુંમરા ગત તા. ૧લીના રોજ રાત્રે પોતાની તબિયત સારી ન હોવાથી રૂમમાં સુઈ ગયા હતા. રેસ્ટ રૂમમાં આરામ કરતા નીલેશભાઈએ દિવસ દરમિયાન જે વેપાર થયો હતો તેની રોકડ રકમ એક પર્સમાં ઓશિકા પાસે રાખી ઊંઘી ગયા હતા.
દરમિયાન સવારે આ રકમ ગાયબ થઇ ગઈ હતી. જેને લઈને હોટેલમાં કામ કરતા સ્ટાફના માણસોની પૂછા કરી હતી પરંતુ એક પણ સખ્સે ચોરી અંગેની કબુલાત ન કરી કે ન તો જાણ હોવાનું કહ્યું હતું. જો કે ચોરી થઇ હતી તે રાત્રે હોટેલમાં કામ કરતા બે સખ્સો પાણી આપવાના બહાને રેસ્ટ રૂમ અંદર આવ્યા હોવાનું સામે આવ્યુ હતું. જેને લઈને હોટેલ માલિકે અર્જુન રાવ અને મનોજ રાવ નામના બંને સખ્સો સામે શંકાની સોય તાણી પંચકોશી એ ડીવીજનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બંને સખ્સોની અટકાયત કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.