જામનગર: લાલપુરના સીંગચ ગામે પરિવારના સભ્યએ જ વૃધ્ધાનું ઢીમ ઢાળી દીધું, કારણ છે સાવ ક્ષુલ્લક

0
2394

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામે પરિવાર વચ્ચે સયુંકત વાડા બાબતે ચાલતા વિવાદને લઈને એક જ પરિવારના યુવાને વૃદ્ધા પર હુમલો કરી લાકડાના ધોકા વડે પ્રહાર કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી હત્યા નીપજાવી છે. પુત્ર સાથે રહેતા વૃદ્ધા ફૂલ તોડવા માટે વાડામાં ગયા હતા ત્યારે આરોપી સાથે બોલાચાલી થઇ હતી અને ઉગ્ર સ્વભાવના આરોપીએ વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

લાલપુર તાલુકાના સીંગચ ગામે મનસુખભાઈ મોહનભાઈ નકુમના માતા મણીબેન પર તેમના જ મોટા બાપુના પુત્ર અશોક હરીભાઈ નકુમે ગઈ કાલે સાંજે સાડા પાંચેક વાગ્યે ઉગ્ર બોલાચાલી કરી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આરોપીએ વૃદ્ધાને માથાના ભાગે લાકડાનો ધોકો ફટકારતા તેણીની લોહીલુહાણ હાલતમાં નીચે પડી બેસુધ્ધ થઇ ગયા હતા. આ ઘટનાના પગલે પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને વૃધ્ધાને તાત્કાલિક ખંભાલીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મનસુખભાઈએ પોતાના જ મોટા બાપુના દીકરા એવા આરોપી અશોક સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને મેઘપર પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા કાર્યવાહી શરુ કરી છે.

આરોપી તથા ફરીયાદી પક્ષ એક જ ફળીયામાં અલગ-અલગ મકાનમાં રહેતા હોય અને આરોપી જનુની સ્વભાવના હોય અને ફરીયાદીનો પરીવાર આરોપીને ગમતો ન હોય અને આરોપી તેમજ ફરીયાદીનો સંયુક્તમાં વાડો હોય જે વાડામાં ફરીયાદી પોતાના પશુ બાંધતા હોય જેનો આરોપી ખાર રાખતા હતા. દરમિયાન ગઈ કાલે સાંજે મનસુખભાઈના માતા મણીબેન મોહનભાઈ નકુમ ઉ.વ.૬૨ વાળા વાડામાં ફુલ લેવા વાડામાં ગયા હતા. ત્યારે આરોપી પણ વાડામાં હાજર હોય જેણે વાડામાં પશુ બાંધવા અંગે ફરીયાદીના માતા સાથે બોલાચાલી કરી આક્રોશમાં આવી લાકડાના ધોકા વડે હુમલો કરી માથામાં તથા મોઢા ઉપર માર મારી હત્યા નીપજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here