જામનગર: નેપાળી યુવાનની કરપીણ હત્યા, પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

0
242

જામનગર અપડેટ્સ: શહેરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા પ્રણામી ટાઉનશીપ પાછળના વિસ્તારમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી કે અન્ય કોઈ અકળ કારણોસર એક નેપાળી યુવાનની તેના જ પરિચિત દ્વારા પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.

જામનગર સહિત જિલ્લાભરમાં સનસનાટી ફેલાવનાર બનાવની મળતી માહિતી મુજબ, જામનગરના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા અને મૂળ નેપાળના વતની જંકર સાઉદ કેહરી સાઉદ (ઉ.વ. ૬૭) એ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના ૨૮ વર્ષીય પુત્ર તપેન્દ્રની હત્યા કરવામાં આવી છે.
ગઈકાલ તારીખ ૩૦/૦૪/૨૦૨૬ના રોજ સવારના આશરે ૦૭:૩૮ વાગ્યા પહેલાના સમયગાળા દરમિયાન, પ્રણામી ટાઉનશીપ પાછળ, કુબેર પાર્કના ગાડા માર્ગે આવેલા બેઠા પુલ પાસે, રંગમતી નદીના કાંઠે આ ઘટના બની હતી.

હત્યાનું કારણ અને પદ્ધતિ

આરોપી રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ (રહે. કિર્તિપાન વાળી શેરી, મૂળ નેપાળ) એ કોઈ પણ અકળ કારણોસર તપેન્દ્ર પર હુમલો કર્યો હતો. હુમલાખોરે તપેન્દ્રના માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા માર્યા હતા અને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાઓના કારણે તપેન્દ્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી રાકેશ ઉર્ફે રામુ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ સીટી ‘એ’ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ડોડીયા અને પી.એસ.ઓ. હેડ કોન્સ્ટેબલ પી.જે. મુંગરા દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીટી એ ડીવીજન પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) (ખૂન) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા ફરાર આરોપી રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here