જામનગર અપડેટ્સ: જામનગર શહેર અને જીલ્લામાં સંગઠિત ગુનાખોરીનો પર્યાય બનેલી કુખ્યાત “સાયચા ગેંગ” વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી બાદ હવે કાનૂની સિકંજો વધુ મજબૂત થયો છે. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GUJCTOC) હેઠળ ઝડપાયેલા ગેંગના ૬ મુખ્ય સાગરીતોને પોલીસે ખાસ અદાલતમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે પોલીસની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તમામ આરોપીઓના આગામી ૨૯મી મે સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

કોર્ટમાં રજૂ કરી આકરી પૂછપરછની તૈયારી
જામનગર જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB અને સ્થાનિક પોલીસની ખાસ ટીમે પકડેલા છ આરોપીઓ – ગુલામ જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, અસગર જુસબ સાયચા, હનીફ નુરમામદ સાયચા, ઇમ્તીયાજ નુરમામદ સાયચા અને રજાક દાઉદ ઉર્ફે રજાક સોપારીને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગેંગના આર્થિક સામ્રાજ્ય, અન્ય રાજ્યો કે જીલ્લામાં ફેલાયેલા નેટવર્ક અને ફરાર મુખ્ય સૂત્રધારોની કડીઓ મેળવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને અદાલતે ગ્રાહ્ય રાખી છે. હવે ૨૯ મે સુધી પોલીસ કસ્ટડીમાં આ આરોપીઓની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવશે.

૭૪ ગુનાનો કાળો ઈતિહાસ ધરાવતી સિન્ડિકેટ
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, એજાજ ઉમર સાયચા તથા રજાક નુરમામદ સાયચા દ્વારા સંચાલિત આ સંગઠિત ગુનાહિત ટોળકી (Syndicate) જામનગર, રાજકોટ, અમદાવાદ, કચ્છ અને વલસાડ સુધી રીતસરનો આતંક મચાવતી હતી. આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ ૭૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં:
- ખૂન અને ખૂનની કોશિશ
- અપહરણ, ખંડણી અને બળજબરીથી નાણાં પડાવવા
- સરાજાહેર ફાયરીંગ, રાયોટીંગ અને હથિયાર ધારો (આર્મ્સ એક્ટ)
- જમીનો પર ગેરકાયદેસર કબજા કરવા (લેન્ડ ગ્રેબિંગ) અને ગેરકાયદેસર વ્યાજવટાવ

ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન, મિલકતો ટાંચમાં લેવાશે
આ ગુનામાં સંડોવાયેલા અન્ય ૪ આરોપીઓ (બસીર સાયચા, સિંકદર સાયચા, ઇમરાન સાયચા અને રજાક સાયચા) હાલ જેલમાં બંધ હોય, પોલીસ ટૂંક સમયમાં ટ્રાન્સફર વોરંટના આધારે તેમનો કબ્જો મેળવશે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર એજાજ ઉમર સાયચા હજુ પણ ફરાર છે, જેને ઝડપી લેવા ખાસ ટીમો તપાસ ચલાવી રહી છે.
રિમાન્ડ દરમિયાન પોલીસ આ ટોળકીએ વ્યાજખોરી અને કાળા ધંધાથી વસાવેલી તમામ સ્થાવર તેમજ જંગમ મિલકતો (Property) ની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ તમામ ગેરકાયદેસર મિલકતોને ગુજસીટોકના કાયદા હેઠળ ટાંચમાં (જપ્ત) લેવાની પ્રક્રિયા પણ તેજ કરી દેવામાં આવી છે. વર્ષો પછી આ ગેંગના સભ્યો ૨૯ મે સુધી પોલીસ રિમાન્ડ પર જતા જામનગરના વેપારી આલમ અને સ્થાનિક પ્રજાએ હાશકારો અનુભવ્યો છે.





