જામજોધપુર તાલુકા મથકે વ્યાજ વટાઉ સંબંધીત ફરિયાદ દાખલ થઈ છે. જેમાં એક મહિલા સહિત પાંચ શખ્સોએ મજૂરી કામ કરતા પ્રૌઢને વ્યાજના વીષ ચક્રમાં ફસાવી, દુકાનનો દસ્તાવેજ કરાવી, ગામ છોડવા મજબૂર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે મોદી શેરી રામ મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા પંકજકુમાર કાંતિલાલ મેસવાણિયા નામના 52 વર્ષીય પ્રોઢ એ વર્ષ 2019માં ધંધાની ખોટને પુરવા માટે રૂપિયાની જરૂર પડતા જામજોધપુરમાં સ્ટેશન રોડ પર રહેતા રશ્મિબેન મનસુખભાઈ ખાંટ, તિરૂપતિ સોસાયટી મીની બસ સ્ટેન્ડ જામજોધપુર ખાતે રહેતા ભાવેશ મગનભાઈ ચનીયારા અમિતકુમાર ચંદુલાલ ફળદુ અને જીગ્નેશભાઈ ભાણવડિયા તેમજ વિજયભાઈ શીલું રે.સ્ટેશન રોડ વાળાઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા. વગર લાયસન્સે નાણા ધિરધાર કર્યા બાદ સમય જતાં આ તમામ શખ્સોએ મોટું વ્યાજ અને મુદ્દલ ઉઘરાવી લીધી હતી. આ ઉપરાંત વ્યાજે પૈસા આપતી વખતે આરોપીઓએ સિક્યુરિટી તરીકે પંકજકુમારના પત્નીની સહી કરેલ કોરો ચેક લઈ લીધો હતો. આ ચેક પૂરા નાણા ભરી આપવા છતાં પણ આરોપીઓએ પરત ન કરી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપી ભાવેશ ચનિયારાએ ધમકી આપી પંકજભાઈની જામજોધપુરમાં આઇકોન પ્લાઝા ખાતે આવેલ દુકાનનો વેચાણ દસ્તાવેજ પણ બળજબરીથી કરાવી લઈ, વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરી હતી. જેને લઇને પંકજ કુમારે જામજોધપુર છોડી દઈ લાલપુર રહેવા મજબૂર થયા હતા. આ બનાવ સંદર્ભે જામજોધપુર પોલીસે શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે