જામજોધપુર : ૧૨૦ કરોડનું ખનીજ કૌભાંડ, સ્થાનિક નેતાઓની સંડોવણી ? તપાસ કેમ નહી?

0
723

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના જામજોધપુર પંથકમાં લાઈમ સ્ટોન ખનીજની નવતર ચોરી સામે આવી છે. તાલુકાના અમરાપર – પરડવામાં આવેલ ચોક્કસ સર્વે નંબરની જમીનના માપણી અને નકશાઓ ખનીજ સંપદા ધરવતી જમીનના નંબરમાં બેસાડી આ જમીન માંથી બેરોકટોક ખનીજ ચોરી આચરવામાં આવી છે. અહી ત્રણ-ચાર વર્ષમાં ૧૨૦ કરોડની ખનીજ ચોરી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તાજેતરમાં ખનીજ ચોરી થયેલ જમીન પૈકીની અમુક જમીનને જંગલખાતાને સોંપી દેવામાં આવી છે. પરંતુ જે જમીનમાં ખનીજ ચોરી થઇ છે તે ખનીજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા આશ્ચર્ય સર્જાયું છે.

જામનગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જમીનો સાથણી, દરબારી અને અન્ય સરકારી રાહરસમો વાળી છે. આવી જમીન સર્વે નંબર નહી ધરાવતી જમીન પર જામજોધપુર પંથકમાં ખનીજ ચોરી આચરવામાં આવી છે અને હજુ બેફામ ઉત્ખન્ન થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જામજોધપુર તાલુકાના અમરાપર-પરડવા ગામે આવું રેકેટ સામે આવ્યુ છે. જેમાં અમરાપર ગામના રેવન્યુ સર્વે નંબર ૪૬૫ પૈકીની ખરાબાની જમીન બેહદ ખનીજ સંપદા જમીન આવેલી છે. આ જમીન પર મોટા ખનીજ માફીયાઓએ નજર કેન્દ્રિત કરી હતી. જેમાં આ જગ્યાના સરકારી ચોપડે માપણી ન થયેલ પૈકીના નંબરના સ્થળ ફેરફાર કરી તે જમીનને અન્ય સ્થળે દર્શાવી અહીંથી ઉત્ખન્ન કરી રૂપિયા ૧૨૦ કરોડની મોટી ખનીજ ચોરી આચરવામાં આવ્યાના આક્ષેપ અમરાપર ગામના જીવાભાઈ મેર દ્વારા લગાવવામાં આવ્યા છે.

આ આસામી દ્વારા સાથણીની જમીનના કાગળ પર દસ્તાવેજ તૈયાર કરી નાખવામાં આવ્યો હોવાની અરજીઓ છેક કલેકટરથી માંડી ગાંધીનગર અને તકેદારી આયોગ સુધી કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના જ સ્થાનિક નેતાઓ સંડોવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. છતાં પણ સ્થાનિક તંત્ર કે કલેકટર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને સાચા લીજ ધારક જીવાભાઈ ખૂટીએ છેક ગાંધીનગર સુધી અરજી કરી છે. જેમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરમાર અને ધર્મેશભાઈ મેર અને તેના સબંધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છતાં પણ કોઈ નિરાકરણ નહી આવતા અંતે ગાંધીનગર સુધી આ પ્રકરણ લઇ જવામાં આવ્યું છે.

કોઇ સામાન્ય ખેડૂતો પોતાના ખેતરમાં માટી-મોરમ ભરવા સરકારી ખરાબનો ઉપયોગ કરે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. અહી તો અનેક વિઘાઓમાંથી ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી કરી છે…આ ખનીજ એક જ દિવસમાં ઉઠ્ખ્ન્ન કરી ન શકાય છતા પણ તંત્ર દ્વારા કેમ ચોરીને ઉઘાડી પાડવામાં આવતી નથી કે નથી ખનીજ માફિયાઓ સામે ફરિયાદ કરવામાં આવતી ? જે જમીનમાં ખનીજ ચોરી આચરવામાં આવી છે એ જમીન જંગલ ખાતાને સોપી દેવામાં આવી છે. પરંતુ ખનીજ માફિયાઓ સામે કેમ ફરિયાદ  કરવામાં આવતી નથી ? એમ સવાલો કરી તંત્રએ ખનીજ ચોરીની ફરિયાદ અને ખનીજ માફિયાઓ સામે પગલા ભરવા જોઈએ એમ એમ સ્થાનિક ધારાસભય ચિરાગ કાલરીયાએ મત દશાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here