જામનગર : જામનગરમાં વિશ્વ વિખ્યાત બાલા હનુમાનના પ્રત્યક્ષ દર્શન કરવા માટે ભાવિકોએ એક સપ્તાહની રાહ જોવી પડશે. આ ઉપરાંત જામ ધર્માદા ટ્રસ્ટના મંદિરો પણ સપ્તાહ બાદ ખૂલવાનું નક્કી થયું છે. લાંબા સમયથી બંધ રહેલ આ દેવાલયોમાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વ્યવસ્થા પૂર્ણ થયા બાદ મંદિર ખોવામાં આવશે એમ જુદા જુદા ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.કોરોના સંક્રમણને લઈને જામનગર સહિત દેશભરમાં લોક ડાઉનના ચાર તબક્કા પૂર્ણ થયા છે. પાંચમાં તબક્કામાં અનલોક પીરીયડ શરુ થતા સમયાન્તરે તમામ ગતિવિધિઓ રાબેતા મુજબ કરવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેના ભાગ રૂપે જામનગર સહિત રાજ્યભરમાં આજથી મોટાભાગના દેવાલયો ખુલી ગયા છે. પરંતુ અમુક મંદિરોમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી મોડા ખુલશે. જામનગરમાં આજ થી નાનામોટા દેવાલયો ખુલ્યા છે જેમાં પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. જયારે જામધર્માદા ટ્રસ્ટની માલિકીના જામનગરના જોગવડ આશાપુરા મંદિર, દ્વારકા જીલ્લાના ભાણવડ ખાતેના કિલ્લેશ્વર અને ગાંધવીના પ્રખ્યાત હરસિદ્ધિ માતાજી મંદિર સિવાયના ટ્રસ્ટની માલિકીના મંદિરો જેમાં જામનગરમાં આવેલ રાઝીમાતા મંદિર, ભીડ ભંજન મંદિર, પેલેસ રોડ પર આવેલ ગુરુ દતાત્રેય મંદિર, ફલાહારી રામચન્દ્ર મંદિર, વાલકેશ્વર મહાદેવ, દાંડિયા હનુમાન મંદિર, બદ્રીનાથ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, કાળેશ્વર મહાદેવ, સોમનાથ મંદિર, ભીમનાથ મહાદેવ મંદિર, લક્ષ્મણરાયજી મંદિર, જામનું ડેરું- ત્રીકમરાયજી મંદિર નાના-મોટા આશાપુરા મંદિર, નાગેશ્વર મંદિર, સિદ્ધનાથ મંદિર સહિતના ૨૫ મંદિરો આગામી ૧૬ મી તારીખ સુધી બંધ રહેશે. જયારે વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર આગામી તા. ૧૪મીનાં રોજ ખુલશે એમ ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જો કે ભાવિકોએ પ્રભુ દર્શન કરવામાં સરકારે નક્કી કરેલ ધારા ધોરણોનું પાલન કરવાનું રહેશે