જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધૂળેટીના પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી છે. કોરોના કાળ વચ્ચે કપરા સમયને ભૂલી ભાવિકોએ અનેરા ભાવ સાથે એક મેકને રંગે રંગી રંગોના પર્વની ઉજવણી કરી છે. હોળીના દિવસે દ્વારકા ખાતે અબીલ ગુલાલની છોળો વચ્ચે ફૂલડોલની ઉજવણી કરવામાં આવી હતી.
હાલારમાં દર વર્ષે હોળી-ધૂળેટી પર્વની અનેરી આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ઉજવાતા ફૂલડોલ ઉત્સવમાં દેશભરમાંથી ભાવિકો જગતમંદિર પરિશર પહોચતા હોય છે. આ વખતે કોરોનાને લઈને ઉત્સવ પર લગામ કસવામાં આવી હતી. જો કે વિરોધ વધતા અને ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ વળતા તંત્રએ ગઈ કાલે મંદિરના દ્વાર ખોલી ભાવિકોની ભાવનાને સમજી હતી. બીજી તરફ મંદિર પરિશરમાં દર વર્ષે યોજાતો ફૂલડોલ ઉત્સવ બંધ બારણે પુજારી પરિવાર દ્વારા ઉજવાયો હતો.
આજે ધૂળેટી પર્વની બંને જિલ્લાઓની માયાળુ અને રંગીલી પ્રજાએ પરંપરાગત રીતે ઉજવણી કરી હતી. ધ્રોલથી માંડી છેક ઓખા સુધી અવનવા રંગો સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોના આ પર્વમાં અબાલ વૃદ્ધ તમામે જોડાઈને કોરોની કોઈ પણ બીક રાખ્યા વગર ઉજવણી કરી હતી. બીજી તરફ દ્વારકા ખાતે ભાગવાનીથી રિસાયેલ રુકમણીજીને પણ અબીલ-ગુલાલ લગાવી રંગે રંગી ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.